સરકારે કલા મહાકુંભ દ્વારા કલાકારોને સશકત મંચ પૂરો પાડયો છેઃમંત્રીશ્રી પટેલ
ધ્રાંગધ્રા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ઉદ્દદ્યાટન કાર્યક્રમ દબદબાભેર યોજાયો
સુરેન્દ્રનગર, તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત ધ્રાંગધ્રા ખાતે રમત - ગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કલા મહાકુંભનો ઉદ્દદ્યાટન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો દિપ પ્રગટાવી શુભારંભ કરાવતા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે કલા મહાકુંભના માધ્યમ દ્વારા ગુજરાતના ગ્રામિણ કલાકારો - વિદ્યાર્થીઓ - યુવાનોને કલા માટે સશકત મંચ પૂરો પાડ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ - વારસાને ઉત્સવોની ઉજવણી થકી જીવંત રાખવાનું કાર્ય ગુજરાતમાં થઈ રહયું છે. આપણી ગ્રામિણ સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા, નૃત્ય, ભવાઈ જેવી કલાઓના સન્માન દ્વારા તેને બિરદાવવાનું કાર્ય સરકારે કર્યું છે.
મંત્રીશ્રીએ ગત વર્ષથી સમગ્ર ગુજરાતમાં કલાને જીવંત રાખવા અને કલાકારોને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ સાથે હાથ ધરાયેલા કલા મહાકુંભમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભાગ લીધેલ કલાકારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે જિલ્લાના બે હજારથી વધુ સ્પર્ધકોએ કલાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેની સામે આ વર્ષે કલા મહાકુંભમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૧૦ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
તેમણે કલા મહાકુંભમાં ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી અન્ય સ્પર્ધાઓનો સમાવેશ કરવાની લોકોની લાગણીને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા આ વર્ષે ફટાણા, કુચીપુડી, નૃત્ય જોડિયા પાવા, રાવણ હથ્થો, ભવાઈ, જેવી લોક સંસ્કૃતિની જાળવણી કરતી અને તેની સાથે જોડાયેલી કલાઓનો પણ કલા મહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભમાં જીલ્લા રમત ગમત અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલ કલા મહાકુંભ ની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞાબેન મોણપરા, નગરપાલિકાના પ્રમુખશ્રી ધીરુભા પઢીયાર, અગ્રણીઓ સર્વશ્રી રસિકભાઈ ચૌહાણ, કિરીટસિંહ, સંજયભાઈ, કનકસિંહ ઝાલા, નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ - સભ્યો - સ્પર્ધકો તથા શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.