ઉગામેડીમાં આહિર યુવકની હત્યામાં સામેલ સગીર આરોપી ઝડપાયો
આરોપી સગીર હોય રાજકોટ બાળ-વિકાસ ગૃહમાં મોકલી દેવાયો
આટકોટ તા. ૧૧ :.. ગઢડા (સ્વામી.) તાબેના ઉગામેડી ગામે બે દિવસ પહેલા આહીર યુવકની હત્યાના ત્રણ આરોપીમાંથી એક બાળ આરોપીની પોલીસે ધરપકડ કરી રાજકોટના બાળ વિકાસ ગૃહમાં મોકલી આપેલ છે.
ગઢડાન ઉગામેડી ગામે ગઢડા ગામે રહેતા જયવીર ચાવડાની તા. ૯ ના રોજ રાત્રે પૈસાની લેતી-દેતીમાં ઉગામેડી ગામન દલીત મહેશ વાલજી પરમાર, ગૌતમ વાલજી પરમાર તથા એક બાળ આરોપી દ્વારા સરાજાહેર હત્યા નિપજાવાઇ હતી.
આ બનાવ બાદ મરણ જનાર જયવીરના પિત્રાઇ ભાઇ પરેશભાઇ વજુભાઇ ચાવડાની ફરીયાદ લઇ ગઢડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરવા દોડાદોડી કરી હતી. જેમાં ત્રીજો આરોપી જે સગીર વયનો હોય તે ઝડપાઇ ગયો હતો જેને બાળ વિકાસ ગૃહ રાજકોટ ખાતે મોકલી દેવાયો છે.
આ બનાવનાં મુખ્ય આરોપી મહેશ અને ગૌતમ (બંને સગાભાઇ) હજુ પોલીસ પક્કડથી દુર છે જે પણ ટુંક સમયમાં ઝડપાઇ જશે તેવુ ગઢડા પોલીસે જણાવ્યું હતું.
આ બનાવથી આ પંથકના આહીર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ પોલીસે ઉગામેડી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.