સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મૈત્રી કરાર કરનાર ભાટગામનાં શખ્સનો ભેંસાણની યુવતિ પર જેતપુરમાં બળાત્કાર

ડીવાયએસપી શ્રી જાડેજાએ ત્વરિત કાર્યવાહી કરી દુષ્કર્મીને દબોચી લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૧ :  મૈત્રી કરનાર ભાટ ગામનાં શખ્સે ભેંસાણની યુવતિ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ ભેંસાણ પોલીસમાં થઇ છે.

જો કે ડીવાયએસપી શ્રી જાડેજાએ ત્વરિત કાર્યવાહી કરી દુષ્કર્મીને દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.

ભેંસાણ ખાતે પરબ રોડ વિસ્તારમાં રહેતી એક ર૬ વર્ષીય યુવતિ સાથે ભેંસાણ તાલુકાનાં ભાટગામનો જયદીપ વિરજીભાઇ પરમારે મૈત્રી કરાર કરેલ.

પરંતુ ૬ જુન જુનની રાત્રે આ શખ્સે યુવતિને ફોન કરી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને યુવતિને તેના ઘરની બહાર બોલાવી હતી.

બાદમાં જયદીપ તેના મોટર સાયકલ પર ઉઠાવી ગયો હતો અને જેતપુરનાં એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ત્યાં યુવતિનાં ઇન્કાર છતાં તેણે અવારનવાર શરીર સંબંધ  બાંધ્યો હતો.

આ અંગે ભોગ બનનાર યુવતિ એે ગઇકાલે ફરીયાદ કરતા ભેંસાણનાં પીએસઆઇ એ.ડી. વાળાએ કલમ ૩૭૬ (ર) (એન) પ૦૪, પ૦૬, (ર), એટ્રોસીટી એકટ ૦૩ (૧) વગેરે મુજબ ગુનો નોંધીને જયદીપ વિરજી સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અંગે એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ જુનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને તપાસ સોંપતા તેઓએ તુરત જ તપાસ હાથ ધરી દીધી હતી.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી જાડેજાએ સવારે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આરોપીને ગત રાત્રે જ હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:04 pm IST)