ગિરનાર અંબાજી મંદિર ખુલવાની સાથે રોપ-વેનો પણ પ્રારંભ
શ્રીફળ વધેરી રોપ-વે શરૂ કરાયો - પહેલી ટ્રીપમાં ૧૦૦ લોકોએ રોપ-વેની મોજ માણી
(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૧ : આજે સવારે ગિરનાર અંબાજી મંદિરના દર્શન ખુલવાની સાથે રોપ-વેનો પણ પ્રારંભ થયો છે.
ગુજરાતમાં ૫૮ દિવસ પછી આજથી મંદિરો દર્શન માટે શરૂ થયા છે. ગાઇડલાઇન અનુસાર એસઓપીના કડક પાલન સાથે ગિરનાર અંબાજી મંદિર, ગોરખનાથ, દત્ત મંદિર, ભવનાથ મંદિર અને તળેટી ખાતેના અન્ય મંદિરો સવારથી ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
ગિરનાર અંબાજી મંદિરના મહંતશ્રી તનસુખગીરી બાપુના જણાવ્યા મુજબ સવારે ૭ વાગ્યે આરતી સાથે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવેલ. કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થશે.
દરમિયાન આજે સવારે ૮.૩૦ કલાકથી ગિરનાર રોપ-વે પણ પુનઃ શરૂ થયેલ છે.
મેનેજરશ્રી પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, દોઢ માસ બાદ આજે સવારે ૮.૩૦ કલાકે શ્રીફળ વધેરીને રોપ-વે શરૂ કરવામાં આવેલ. પ્રથમ ટ્રીપમાં ૧૦૦ લોકો રોપ-વેની મોજ માણી ગિરનાર પહોંચ્યા હતા. ગાઇડલાઇનનું પાલન ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)