ઉનાની વડવિયાળા સીમમાં દીપડો ત્રાટકતા ૧ વર્ષના બાળકનું મોત
(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૧: તાલુકાના વડવિયાળા સીમમાં રહેતા પરીવારના ઘરમાં રાત્રે દીપડો ત્રાટકીને એક વર્ષના બાળક ઉપર હુમલો કરતા બાળકનું મોત નિપજયું હતું. બાળકનું મોત નીપજાવનાર દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે.
ઉનાના ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામની સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઇ પરમાર તેમનો પરીવાર તથા તેનો ગોપાલ (ઉ.વ.૧) તથા બીજા બે બાળકો પત્ની સુતા હતા ત્યારે શિકારની લાલચમાં એક દિપડો આવી ગોપાલ ઉમરવરસ એકને દાંત બેસાડી ઝુંપડાથી ૧૦૦ મીટર લઇ જતા દિકરો રડવા લાગતા માતા-પિતા જાગી જઇ દિપડાના મોઢામાંથી છોડાવી દીપડાને ભગાડી મુકેલ.
ઉના સરકારી દવાખાને સારવાર માટે દીકરાને લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ હતો. બીજલભાઇના પરીવારમાં શોક છવાઇ ગયો છે. ગીર પુર્વ વન વિભાગ જશા ધારણીરા રેન્જ કચેરીને જાણ થતા માનવભક્ષી દિપડાને પકડવા વડવીયાળા સીમમાં પાંજરા ગોઠવી પકડવા તજવીજ હાથ ધરી છે. ઉના પંથકમાં દિપડાનો માનવી ઉપર હુમલા વધ્યા હોય લોકોએ સાવચેત જાગૃત બનવું જોઇએ.