સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ઉના-દેલવાડા રોડ ઉપર વિચિત્ર અકસ્માતઃ ૨ યુવાનોના મોત

ગાય આડી ઉતરતા અથડાયેલુ ડબલ સવારી બાઈક ફંગોળાયુ અને તે સમયે પાછળથી પુરપાટ આવતુ ત્રીપલ સવારી બાઈક ભટકાયું

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૧ :. ઉના-દેલવાડા રોડ ઉપર વિચિત્ર અકસ્માતમાં રસ્તામાં આડે ગાય આડી ઉતરતા ડબલ સવારી બાઈક ફંગોળાય ગયેલ અને તે સમયે પાછળથી પુરપાટ આવતુ બીજુ ત્રિપલ સવારી બાઈક અથડાય જતા ૨ યુવાનો ફરીદભાઈ ફિરોજભાઈ પઠાણ રહે. નારીયા માંડવી અને ભાણજીભાઈ દેવશીભાઈ ડાભી રહે. ગરાળ બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.

ઉના-દેલવાડા રોડ ઉપર ઉનાથી ૬ કિ.મી. દૂર સાહિલભાઈ ઉસ્માનભાઈ શેખ રે. નારિયા માંડવી તેના મિત્ર ફરીદભાઈ ફિરોજભાઈ પઠાણને જીજે ૩૨એલ ૬૮૫૦ નંબરના બાઈક ઉપર પાછળ બેસાડીને નારીયા માંડવીથી દેલવાડા તરફ આવતા હતા ત્યારે રાત્રીના રસ્તામાં ગાય આડી ઉતરતા તેમનુ બાઈક ગાય સાથે અથડાયને ફંગોળાય ગયુ હતું અને કમનસીબે તે સમયે પાછળથી પુરપાટ આવતુ બીજુ બાઈક (જીજે ૩૨એન ૬૦૮૪) આગલા બાઈક સાથે અથડાતા વિચિત્ર અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં પ્રથમ બાઈક જીજે ૩૨એલ ૬૮૫૦ પાછળ બેઠેલા ફરીદભાઈ ફિરોજભાઈ પઠાણનું મોત નિપજ્યુ હતું. પાછળથી પુરપાટ આવેલ અને અકસ્માતમાં બીજી બાઈકના ચાલક ભાણજીભાઈ દેવશીભાઈ ડાભીનું ગંભીર ઈજા બાદ મોત નિપજ્યુ હતુ.

આ અકસ્માતમાં પાછળથી પુરપાટ આવતા બાઈક સવાર મરણ જનાર ભાણજીભાઈ દેવશીભાઈ ડાભી રે. ગરાળવાળા સામે બેફીકરાઈથી બાઈક ચલાવીને આગળના બાઈક સાથે અથડાવી ફરીદભાઈનું મોત નિપજાવ્યાની પોલીસ ફરીયાદ સાહીલભાઈ ઉસ્માનભાઈ શેખ રે. નારીયા માંડવીવાળાએ નોંધાવી છે.

(11:46 am IST)