સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મંગલ મંદિર ખુલ્યા...: ૬૧ દિ' બાદ ધર્મસ્થાનોમાં ભાવિકોની એન્ટ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તિર્થસ્થાનોમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પ્રવેશ અપાયોઃ મહામારીમાંથી મુકિત અપાવવા પ્રાર્થના

શ્રી સોમનાથ મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યા : વેરાવળ : પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિર ૬૧ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ હતુ. આજરોજ મંદિરના દ્વાર ભકતો માટે ખોલવામાં આવ્યા છે. દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. (તસ્વીર -અહેવાલ : દિપક કક્કડ -વેરાવળ)

રાજકોટ તા. ૧૧ :.. કોરોના મહામારીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ધર્મસ્થાનોમાં છેલ્લા ૬૧ દિવસોથી ભાવિકોને પ્રવેશ આપવામાં આવતો ન હતો અને કોરોના સંક્રમણ અટકાવવા ધર્મસ્થાનોમાં રૂબરૂ દર્શન બંધ હતાં. પરંતુ હવે કોરોના કેસ ઘટતા આજથી ધર્મસ્થાનોમાં ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો છે.

શ્રી સોમનાથ મહાદેવ - વેરાવળ, શ્રી દ્વારકાધીશ ભગવાન-દ્વારકા, શ્રી ચામુંડા માતાજી-ચોટીલા, શ્રી ખોડલધામ -કાગવડ સહિત અનેક ધર્મસ્થાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ્, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

વેરાવળ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ : વિશ્વનું સૌથી મોટુ જયોતિલીંગ સોમનાથ મંદિર સવારે ખુલતા જ શીવ ભકતો દ્વારા જય સોમનાથ, હર હર મહાદેવથી પરિસર ગુંજી ઉઠેલ હતું સરકારના નીતિ નિયમોના પાલન સાથે ભકતજનો દર્શને આવી રહેલ હતાં.

ગીર સોમનાથ જીલ્લા તેમજ સ્થાનીકિ દર્શન માટે આવી પહોંચેલ હોય તેથી મંદિર પરિસર ત્થા આજુ બાજુ વિસ્તાર ધમધમતા થયેલ હતાં.

મંદિરમાં શીવ ભકતો આવવા લાગતા ફુલહાર ફોટોગ્રાફર-પાથરણા વાળામાં ઉત્સાહ ફેલાયેલ હતો. તેમને જણાવેલ કે થોડીક રોજીરોટી પ્રાત થશે. ટ્રસ્ટ પોલીસ-સીકયોરીટી દ્વારા સુંદર બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

પ્રભાસ પાટણ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ : આજે વહેલી સવારથી જ મંદિર પરિસર અને એન્ટ્રીથી માંડી ભગવાનના દર્શન સુધી પહોંચતા પથ ઉપર સોશીયલ ડીસ્ટંશન જળવાય તે માટે સફેદ કલરના ગોળ રાઉન્ડ અંકિત કરી જેને ફોલો કરી દૂરી સાથે મંદિરમાં કયુમાં આગળ વધી રહ્યા છે.

સમગ્ર દર્શન પથ મંદિર પરિસર મંદિર કયુ રેલીંગ, ચેક પોસ્ટોને સેનેટરાઇઝડ સ્પ્રેથી  સ્પ્રે કરવામાં આવી છે.

સોમનાથ મંદિરના દર્શન માટે ઓનલાઇન પાસ વ્યવસ્થા તો છે જ ઉપરાંત એન્ટ્રીગેટ પાસે ઓફ લાઇન પાસ ઇસ્યુ બુથ સવારથી કાર્યરત છે.

મંદિર એન્ટ્રીગેટે થર્મલ ગન ટેમ્પરેચર ચેકીંગ, ફરજીયાત માસ્ક હાથ સેનેટાઇઝર વોશ અને મંદિરના તથા પોલીસના નિયમોનું ચેકીંગ કરવામાં આવે છે. કોઇપણ દર્શનાર્થીને મંદિરમાં બેસવા દેવામાં આવશે નહીં, દર્શન કરી બહાર નીકળી જવું પડશે. મંદિરની આરતીમાં દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પ્રવેશબંધ છે.

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સીવીલ વિભાગ, સીકયુરીટી વડા ઉમેદસિંહ જાડેજા પોલીસ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક મુકેશભાઇ ઉપાધ્યાય, એસ. આર. પી. ગ્રામરક્ષક દળ, મહિલા મોલિસ, સીસી ટીવી કન્ટ્રોલ, ડોગ સ્કવોડ, બોમ્બે ડીસ્પોઝલ સ્કવોડ, મોબાઇલ પેટ્રોલિંગ વાન સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઇ છે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : વહિવટદાર કચેરી શ્રી ધ્વારકાધિશ મંદિર અને પ્રાંત અધિકારીશ્રી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે શ્રી દ્વારકાધીશ જગત મંદીર ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા પ્રમાણે ચોક્કસ સમય દરમિયાન દર્શન માટે આજથી ખુલ્યુ છે.

જે અન્વયે દર્શનાર્થે આવતા તમામે ફરજીયાત માસ્ક પહેરીને આવવું, સામાજિત અંતર જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવી – હાથ સેનેટાઈઝ કરીને જ મંદીરમાં પ્રવેશ કરવાનો રહેશે. મંદીરમાં સામાજિક અંતર જાળવવા માટે જે રાઉન્ડ બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે ઉભા રહીને લાઈનમાં જ મંદીરમાં જવાનું રહેશે. મંદીરમાં રેલીંગ કે અન્ય કોઈ પણ જગ્યાએ અડવું નહીં, મંદીરમાં દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને તુરંત જ બહાર નિકળી જવું જેથી વધુને વધુ યાત્રીકોને દર્શન થઈ શકે તથા ધ્વજાની માટે એક સાથે ૨૦ દર્શનાર્થીઓએ મંદીરમાં જવાનું રહેશે. જે પૈકી પાંચ વ્યકિતઓ મંદીરની પરિક્રમા કરી શકશે. જયારે અન્ય દર્શનાર્થીઓ પરિક્રમા કરી શકશે નહીં. વધુમાં ઘરેથી દર્શનનો લાભ લેવા સંસ્થાની અધિકૃત વેબ સાઈટ www.dwarkadhish.org માં લાઈવ નીહાળી શકાશે જેની તેમ જણાવાયું છે.

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમની સુચના અનુસાર તા.૦૪-૦૬-૨૦૨૧ સુધી શ્રી દ્વારકાધિશ જગત મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

જે અન્વયે આ સમયગાળા દરમ્યાન પુજારી પરિવાર દ્વારા પારંપારિક નિત્યક્રમ કરવામાં આવશે.

(10:55 am IST)