પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે કલેકટર દ્વારા તકેદારીની બેઠક મળી
પોરબંદર, તા.૧૧: પોરબંદર તા.૧૦, હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૧ જુન થી ૧૪ જુન દરમીયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શકયતાથી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી પોરબંદર જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટશ્રીએ જણાવ્યુકે , તા ૧૧ જુનથી ૧૪ જુન સુધી વાવાઝોડુ અને ભારે વરસાદ હોવાની આગાહી છે તથા તા.૧૩ જુનના રોજ ભારે પવન સાથે વાવાઝોડુ ફુકાવાની સંભાવના હોવાથી અધિકારીઓને સુચના આપી કે માછીમારો દરિયામા પ્રવેશ ન કરે, માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવવા, રેસકયુ માટે ફાયરબ્રીગેડે તૈયાર રહેવુ, વાવાઝોડાની અસરથી રસ્તાઓ બ્લોક ન થાય તેની તકેદારી રાખવી, પ્રભાવીત ગામડાઓ સાથે સંપર્કમા રહેવુ, લોકોની આરોગ્યની સ્થિતિ જળવાઇ રહે તે ખાસ જોવુ, રસ્તાઓ પર લગાવેલા હોર્ડિગ્સ ઉતારી લેવા તથા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવુ સહિતની સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, અધિક કલેકટર એમ.એચ.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી બાટી સહિત કોસ્ટગાર્ડ, પોર્ટ, એરપોર્ટ, પાણીપુરવઠા સહિત કચેરીઓના અધિકારીઓ બેઠકમા ઉપસ્થિત રહયા હતા.