સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th June 2019

વાવાઝોડુ 'વાયુ' ગોવાથી ૩૨૫ કિ.મી. પશ્ચિમે : ૧૩મીએ વ્હેલી સવારે પોરબંદર - મહુવા વચ્ચે વેરાવળ - દીવ આસપાસ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૧ : જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ આજે બપોરે ૧૨ વાગ્યે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગતરાત્રે ડિપડિપ્રેશન 'વાયુ' નામના વાવાઝોડામાં પરિવર્તિત થયુ. આ સિસ્ટમ્સનું લોકેશન હાલનું ૧૫.૪ નોર્થ, ૭૦.૬ ઈસ્ટ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં છે. પ્રેશર ૯૮૮ મિલીબાર છે અને સવારે ૧૧ વાગ્યે ગોવાથી આશરે ૩૨૫ કિ.મી. પશ્ચિમે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ૫૭૫ થી ૬૦૦ કિ.મી. દક્ષિણે હતું. વેરાવળથી દક્ષિણે અને ગોવાથી ૩૨૫ કિ.મી. પશ્ચિમે છે.

પવનો ૮૦ થી ૯૦ કિ.મી.ના અને ઝાટકાના પવન ૧૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે.

હવામાન ખાતાના બુલેટીન નંબર ૭ મુજબ આ વાવાઝોડુ ૧૩મી જૂને વ્હેલી સવારે પોરબંદર-મહુવા વચ્ચે વેરાવળ - દિવ આસપાસ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે ત્યારે ૧૧૦ થી ૧૨૦ કિ.મી. અને ઝાટકાના ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. હવામાન ખાતાના બુલેટીન નંબર ૭ મુજબ તા.૧૨-૧૩-૧૪ સૌરાષ્ટ્ર - કચ્છમાં ભારે થી અતિ ભારે તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો મધ્યમ અને અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે.

 ઈન્ટરનેશનલ એજન્સી મુજબ હજુ પણ ફોરકાસ્ટ ટ્રેપમાં થોડી દ્વિધા છે. પરંતુ આ વાવાઝોડુ હોય સાવચેતી રાખવી જરૂરી છે અને હવામાન ખાતુ અને તંત્રની સુચનાને ખાસ અનુસરવુ.

(2:11 pm IST)