દારૂના કેસમાં જામીન મળે તે પ્રકારના કેસ પેપર્સ તૈયાર કરવાનો ભાવ રૂ.ર૦ હજારે પહોંચ્યો
એસીબીના મદદનીશ નિયામક(બોર્ડર એકમ) ભુજ કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમની તપાસમાં રસપ્રદ તારણ : શિહોરી પોલીસ મથક(જીલ્લો બનાસકાંઠા) ના પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જેઠવાનું રૂ. ર૦ હજારની લાંચનું ચકચારી પ્રકરણ
રાજકોટ, તા., ૧૧: બનાસકાંઠા જીલ્લાના શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને દિયોદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ પ્રદ્યુમનસિંહ જુવાનસિંહ જેઠવા રૂ. ર૦ હજારની લાંચ લેતા બનાસકાંઠા એસીબી પીઆઇ કે.જે.પટેલ ટીમના હાથે તથા મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજના કૃષ્ણકુમારસિંહ ગોહીલના સુપરવીઝન હેઠળ ગોઠવાયેલ છટકામાં ઝડપાઇ ગયાનું એસીબી સુત્રોમાંથી જાણવા મળે છે.
એસીબી સુત્રોના જણાવ્યા મુજબ એસીબીમાં એક ફરીયાદી દ્વારા એવા મતલબની રજુઆત થઇ હતી કે દારૂના કેસમાં તેના પિતાનું નામ ખુલતા તેમને એરેસ્ટ કરવામાં આવેલ.
ફરીયાદીના આરોપ મુજબ ફરીયાદીના પિતાને જામીન મળી જાય અને રિમાન્ડમાં હેરાન નહિ કરવા માટે આરોપીએ ર૦ હજારની લાંચ માંગેલ. પોતે લાંચ આપવા ન માંગતા હોય એસીબીમાં ઉપરોકત આરોપસરની કરેલી ફરીયાદ આધારે એસીબીએ છટકાની કાર્યવાહી ગોઠવી હતી. લાંચના ગુન્હામાં પોલીસને આંચ નહિ તેવી સાચી-ખોટી જે માન્યતા પ્રવતતી હતી, તે માન્યતા કોઇ પણ ભોગે ખોટી ઠરે તે માટે એસીબી વડા કેશવકુમારે કોઇને પણ છોડવા કડક આદેશ રાજયભરના યુનીટોને આપ્યાની બાબત જાણીતી છે.