સાસણ-સફારી પાર્કમાં ૧૨ સિંહો નિહાળીને રૂપાણી દંપતિ અભિભૂત
વિજયભાઈ રૂપાણીએ વન્ય જીવો માટેની પાણીની વ્યવસ્થાની જાણકારી મેળવી-માલધારી પરિવારોની મુલાકાત લીધી
જૂનાગઢ, તા. ૧૧ :. આજે વહેલી સવારે સાસણ સફારી પાર્ક ખાતે ૧૨ સિંહો નિહાળી મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને તેમના ધર્મપત્નિ ખૂબ જ અભિભૂત થયા હતા.
રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે. રાત્રે મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાસણ ખાતે પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યુ હતું.
આજે સવારે મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા તેમના ધર્મપત્નિ અંજલિબેન ઉપરાંત વનમંત્રી ગણપતભાઈ વસાવા વગેરેએ વન સચિવ શ્રી ગુપ્તા, નાયબ વન સંરક્ષક શ્રી રામ મોહન, કલેકટર ડો. સૌરભ પારઘી અને એસપી સૌરભસિંઘ વગેરે સાથે સાસણ સ્થિત સફારી પાર્કની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન જીપ્સીમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને અંજલિબેન રૂપાણીએ સફારી પાર્કના જુદા જુદા રૂટ ઉપર ૧૨ જેટલા સિંહો નિહાવ્યા હતા. તેમજ રસ્તામાં મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ દુધાળા નેસમાં માલધારી પરિવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અંજલિબેન રૂપાણીએ માલધારી બહેનો પાસે જંગલમા તેમના માટેની સુવિધા, બાળકોનું શિક્ષણ વગેરે માહિતી મેળવવાની સાથે ખબર અંતર પુછયા હતા.
આ તકે માલધારી પરિવારોએ મુખ્યમંત્રી શ્રી રૂપાણીનું અભિવાદન કરીને આવકાર્યા હતા.
ગીરના આઠ સિંહોનું મેડિકલ ચેકઅપ પૂર્ણઃ ગોરખપુર ઝૂમાં કાયમી વસવાટ કરશે
અમદાવાદ, તા. ૧૧ :. ગીરના સિંહોને યુપીના ગોરખપુર ઝૂ ખાતે મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. સાસણ ગીર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્ત્।ાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુપ્રત કરાશે.
સકકરબાગથી બે નર તથા છ માદાને હવાઇમાર્ગે ગોરખપુર મોકલતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ જૂનાગઢનાં આઠ સિંહ ગોરખપુરનાં કાયમી નિવાસી બની જશે.