પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને વેપારીનો આપઘાત
ફેન્સી સ્ટોર વાળા અને જમીન મકાનની દલાલીનું કામ કરતા જયુભાઇ કારીયાએ વ્યાજે રૂપીયા લીધા બાદ ત્રાસ વધતા અંતિમ પગલું ભર્યુઃ લોહાણા સમાજમાં રોષ
પોરબંદર, તા., ૧૧: ફેન્સી સ્ટોરવાળા અને જમીન મકાનની દલાલીનું કામ કરતા લોહાણા વેપારી જયુભાઇ કારીયાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વેપારી જયુભાઇ કારીયાએ ધંધા માટે વ્યાજે રૂપીયા લીધા બાદ મંદીને લીધે સમયસર ચુકવી ન શકતા વ્યાજખોરો દ્વારા ત્રાસ શરૂ થયેલ હતો. વ્યાજખોરોના અતિશય ત્રાસથી જયુભાઇએ મજબુરીથી ઝેરી દવા પી લેતા તેમને પોરબંદરમાં સારવાર બાદ જામનગર સારવાર માટે ખસેડાયેલ જયા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.
અમારા પરિવારને વ્યાજખોરોના ત્રાસથી બચાવજોઃ પોરબંદરમાં આપઘાત કરનાર વેપારીની બન્ને પુત્રીઓની વેદના
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીને આપઘાત કરનાર વેપારી જયુભાઇ કારીયાના ગઇકાલે બેસણામાં જયુભાઇની બન્ને પુત્રીઓએ ઉપસ્થિત લોહાણા સમાજ સહિત લોકો સામે વેદના ઠાલવતા જણાવેલ કે પપ્પાના આપઘાત બાદ અમારા પરિવાર ઉપર વ્યાજખોરો ત્રાસ વર્તાવે તેવો ભય હોય અમોને વ્યાજખોરોથી બચાવવા દર્દભરી અપીલ કરી હતી.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ આ અપીલને ઝીલી લઇને જણાવેલ કે પરિવારને મદદની જે જરૂર હશે તે પુરી કરાશે અને હેરાનગતી કરનાર સામે કડક કાર્યવાહીના પગલા લેતા અચકાશુ નહી. વ્યાજખોરોની ખરાબ દાનતની શંકાના પગલે વેપારીની બન્ને પુત્રીએ પોતાની વેદના ઠાલવી હતી.