પાકિસ્તાનની જેલમાં ગીર-સોમનાથ પંથકના દેવા રામ બારૈયાનું મોતઃ નાપાક દેશે માનવતા નેવે મુકીઃ પરિવારજનોને મોતની જાણ પણ ન કરી
પાકિસ્તાને તો જાણ ન કરી પરંતુ સાથી કેદીના પત્રએ પાકિસ્તાનની પોલ ખોલી
નવી દિલ્હી, તા. ૧૧ :. પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના એક માછીમારના પરિવારને આજે જાણવા મળ્યુ છે કે, ગત ૪ માર્ચના રોજ પાકિસ્તાનની જેલમાં તેમના સગાનું મોત થયુ છે. માછીમારના પરિવારને આ માહિતી એક સાથી કેદીના એક પત્ર થકી મળી છે. સાથી કેદીનો એક પત્ર માછીમારની પત્નિ પાસે પહોંચ્યો હતો. ગુજરાતના ગીર સોમનાથના કોટડા ગામના નિવાસી દેવા રામ બારૈયા (ઉ.વ.૫૫)ને પાકિસ્તાનની દરીયાઈ એજન્સીઓ ગત ૨ ફેબ્રુઆરીના રોજ પકડી લીધા હતા.
હવે આ માહિતી તેમના પરિવારના સભ્યોને આપવામાં આવી છે. કોટડા ગામના સરપંચ બાબુભાઈ સોમાભાઈએ જણાવ્યુ છે કે, બારૈયા સાથે જેલમાં બંધ પ્રવીણ ધનસુખલાલ ચાવડાએ પત્ર બારૈયાની પત્ની લાભુબેનને ગત તા. ૨૨મી એ લખ્યો હતો. એ પત્રમાં બારૈયાના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ છે કે, લાભુબેનને એ પત્ર આજે મળ્યો છે. બારૈયા પોતાની પાછળી પત્નિ અને ૬ બાળકોને વિલાપ કરતા મુકી ગયો છે. તેમનો પરિવાર ઘણો ગરીબ છે.
પાકિસ્તાને શા માટે મૌન રાખ્યુ અને શા માટે જાણ ન કરી ? એ તપાસનો વિષય છે. પાકિસ્તાને માનવતા નેવે મુકી હોવાનું જાણવા મળે છે.(૨-૪)