સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે રીક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માત : રીક્ષામાં મુસાફરી કરતા પાંચ મુસાફરો ઘાયલ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે રીક્ષા અને ટેન્કર વચ્ચે આજે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં મુસાફરી કરતા પાંચ મુસાફરોને ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની સરકારી ગુરુ ગોવિદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જામનગરના લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે આજે સવારના સમયે જીજે-10-ડબલ્યુ-242 નંબરની પેસેન્જર રીક્ષાને સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા ટેન્કરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરી કરતા લાલાભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.40), ઈસુબ હાસમભાઈ (ઉ.વ.59), સલીમમામદ (ઉ.વ.48), ગુલાબભાઈ રામજીભાઈ ભાનુશાળી (ઉ.વ.60) અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ.54) નામના પાંચ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની બે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(2:19 pm IST)