સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th May 2021

કચ્છના મોટી ચીરઇ ગામ કોરોના સામે થયું સજ્જ : ઓકિસજન સહિતની તબીબી વ્યવસ્થા સાથે સ્વૈચ્છિક લોકડાઉન

ગામમાં જ ૮ બેડનું ઓકિસજન સાથેનું કોવિડ કેર સેન્ટર તૈયાર : ગ્રામ પંચાયતના સહયોગ થકી સ્થાનિક કંપનીની ઓકિસજન સિલિન્ડરની ઉત્પાદન ક્ષમતા ડબલ થઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ :  રાજય સરકાર દ્વારા તાજેતરમાં 'મારૂ ગામ કોરોના મુકત ગામ' પહેલ શરૂ કરવામાં આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારો જાગૃત બને અને અગાઉથી જ તકેદારીના પગલાં લઈ કોરોનાના સંક્રમણને ગામમાં વધતું અટકાવી શકાય અથવા નિયંત્રણમાં લાવી શકાય.આ પહેલ માં અનેક નાના-મોટા ગામડાઓ જાગૃતિ દાખવી આગળ આવી રહ્યા છે અને નવતર પ્રયોગ કરી કોરોનાને નાથવા અભૂતપૂર્વ કામગીરી કરી રહ્યા છે. એવું જ છે કચ્છનું મોટી ચીરઇ ગામ કે જયાં કોરોનાને મ્હાત આપવા સરપંચ તેમજ ગ્રામજનો સૌ સાથે મળીને કોરોના સામે જીત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.

ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામે ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરી કચ્છના તેમજ ગુજરાતના અન્ય ગામડાઓને એક કેડી કંડારી આપી છે. યુવા સરપંચ શ્રી હરપાલસિંહ જાડેજા અને ગ્રામ પંચાયતના પ્રયાસ થકી ગામમાં જ ૮ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. નવાઇની વાત એ છે કે આવા નાનકડા ગામમાં ઓકિસજનની સુવિધા સાથે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય તમામ સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરી તમામ દવાઓ પણ પી.એચ.સી. માંથી મંગાવી પેશન્ટને આપી શકાય તેવી સુચારું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળ માંથી રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કિટ પણ મંગાવવામાં આવી છે. જે અન્વયે ગ્રામ લેવલે જ શંકાસ્પદ લક્ષણો જણાતા વ્યકિતઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત પંચાયત દ્વારા કોરોનાના અંગે માર્ગદર્શન આપવા માટે માઇક સિસ્ટમ દ્વારા સંદેશો આપવામાં આવે છે તેમજ વેકિસનેશન અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ સંદેશાઓ લોકો સુધી વહેતા કરવામાં આવે છે.

અત્યારે ઓકિસજન જાણે અમૃત સમાન બની ગયું છે. દર્દીઓની સારવાર માટે ઓકિસજન ખૂબ જ જરૂરી છે ત્યારે મોટી ચિરઈ ગામ પંચાયત,સરપંચશ્રી તેમજ ગામના અગ્રણીઓ દ્વારા ગામની સીમમાં ઓકિસજનનું ઉત્પાદન કરતી ગોપીનાથ ઓકિસજન કંપનીની મુલાકાત કરી હતી. જયાં રોજના ૭૫૦ ઓકિસજન સિલિન્ડરનું ઉત્પાદન થતું ત્યાં ગામના સહકાર થકી નવો પ્લાન્ટ શરૂ કરી ઓકિસજન સિલિન્ડરનો જથ્થો ડબલ કરી ૧૫૦૦ કરવામાં આવ્યો છે જેથી કચ્છમાં ઓકિસજનની અછત નિવારી શકાય.આ કંપની દ્વારા હોમ કવોરંટાઇન થયેલા લોકોને નિૅંશુલ્ક સિલીન્ડર પુરા પાડવામાં આવે છે તથા આરોગ્ય વિભાગની જરૂરિયાત અનુસાર સરકારી તેમજ ખાનગી દવાખાનામાં ઓકિસજન સિલીન્ડરનો જથ્થો પુરો પાડવામાં આવે છે.આ ઉપરાંત ગામ ની આસપાસ આવેલી ફેકટરીઓ અને કંપનીઓમાં આકસ્મિક ચેકિંગ કરી ત્યાં કોરોનાની તમામ ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું પણ સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન રાખવામાં આવે છે.

જરૂરીયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઘરે જ મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે જે અન્વયે ગ્રામ પંચાયત અને ખાનગી કંપનીના સહયોગથી રાશન કીટ ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે જેથી લોકોનું બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું પ્રમાણ ઘટાડી શકાય. ઉપરાંત રાશનની દુકાનો,પેટ્રોલ પંપ તેમજ અન્ય સ્થળોએ ગોળ રાઉન્ડ કરી સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરવામાં આવે છે. આખા ગામનું અવાર-નવાર સેનેટાઈઝીંગ પણ કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે ફેરિયાઓને ગામમાં હાથના મોજા વિના પ્રવેશ કરવા પર પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવશે. આમ આવડા નાના ગામડાની આવી ઉત્કૃષ્ટ કામગીરી પરથી અન્ય ગામોએ પ્રેરણા લેવા જેવી છે.

આ તકે મોટી ચિરઈ સરપંચ શ્રી હરપાલસિંહ જાડેજા જણાવે છે કે મહામારીના આ સમયમાં સૌના સાથની જરૂર છે. જો સૌ સાથે મળીને સાથ-સહકારથી કોરોનાને લડત આપીશું તો બહુ ઝડપી કોરોના મુકત ગુજરાત તેમજ ભારતની પરીકલ્પના સાકાર થઈ શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સમયમાં જરૂરી છે કે દરેક ગામ નાના પાયે પણ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઊભા કરે અને તેની વ્યવસ્થા જાળવી રાખે જેથી કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર ત્યાં જ મળી રહે. ઝાઝા હાથ રળિયામણા બસ આ આ કહેવતને સાર્થક કરવા તમામ ગામડા આગળ આવે તે ખૂબ જ જરૂરી છે વધુમાં તેમણે તમામ ગ્રામજનો અને કચ્છના લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અને સમયસર વેકિસન લેવા અપીલ કરી હતી.

(11:45 am IST)