સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

રાજુલા પંથકના પીવાના પાણીની ખેંચવાળા ગામના સરપંચોને મીટીંગમાં ન બોલાવાતા રોષ

રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

રાજુલા, તા. ૧૧ : રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાળીયાએ આજે પીવાના પાણીથી ત્રસ્ત એવા જાફરાબાદની મુલાકાત લીધી હતી અને પાલિકા હોલ ખાતે તાલુકાના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી જાફરબાદ શહેર અને તાલુકામાં પીવાના પાણીની તંગી અંગેની માહિતી મેળવી હતી. મંત્રીશ્રી સાથે પાણી પુરવઠા બોર્ડના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જાફરબાદ તાલુકાના ફાચરીયા, માણસા, કડીયાળી, ચિત્રાસર જેવા ગામોમાં પીવાના પાણીની તંગી મોટા પ્રમાણમાં છે. અહીંના સ્થાનિક બોર પણ ડુકી ગયા હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય ટીકુભાઇ વરૂએ જણાવ્યું હતું. સૌથી ચોંકાવનારી વિગતો તે એવા પ્રકારની છે કે આજે પાણી પુરવઠા મંત્રીશ્રી તાલુકાભરના સરપંચશ્રીઓ સાથે પીવાના પાણીના પ્રશ્નો જાણવા અને ઉકેલવા માટે મીટીંગ બોલાવી હતી, પરંતુ વહીવટી તંત્ર કે સ્થાનિક નેતાગીરી દ્વારા એકયા બીજા કારણોસર ૪૦% જેટલા ગામોના સરપંચશ્રીઓ કે જે ગામોમાં સૌથી વધારે પીવાના પાણીની ખેંચ છે તેવા ગામોની સરપંચશ્રીઓને આ મહત્વપૂર્ણ બેઠકમાં બોલાવ્યા ન હતા. જેથી આવા ગામોના સરપંચશ્રીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

ગઇ કાલે જાફરાબાદના પીવાના પાણીના પ્રશ્નો જાણવા અને નિરાકરણ કરવા પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ પણ જાફરાબાદ શહેર અને તાલુકાના ફીચરીયા, ચિત્રાસર વિગેરે ગામોની મુલાકાત પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી તથા સ્થાનિક ભાજપ આગેવાનોને સાથે રાખીને કરી હતી અને પ્રશ્નો જાણ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે મંત્રીશ્રી ફળદુ મંત્રીશ્રી બાવળીયાએ વારાફરતી જાફરાબાદના પીવાના પાણી પ્રશ્ને મુલાકાત કરી હતી અને લોકોને પીવાના પાણી પશ્ને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી હતી, પરંતુ સ્થાનિક  ધારાસભ્ય અંબરીષ ડેરને આ બન્ને મહાનુભાવોની મુલાકાત વખતે હાજર રહેવા અને રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામાં હાલ જે પીવાના પાણીનો પોકાર ઉઠયો છે તેવા આ અતિ મહત્વપૂર્ણ પ્રશને મીટીંગોમાં હાજરી આપવા કે રજુઆતો કરવા તંત્ર તરફથી કે સ્થાનિક આગેવાનો તરફથી નિમંત્રીત કરાયા ન હતા.

આ અંગે ધારાસભ્ય અંબરીષ ડેરે કહ્યું કે બંને મંત્રીશ્રીઓએ પીવાના પાણીના પ્રશ્ને  અસરગ્રસ્ત શહેર અને તાલુકાના ગામોની વિઝીટ કરી તે આવકારીય બાબત છે, પરંતુ આવા ગંદા રાજકારણ લાવવાની જરૂરીયાત ન હતી.

મંત્રીશ્રી બાવળીયાએ કહ્યું હતું કે અમે વોટસસેપ દ્વારા અમારા કાર્યક્રમની માહિતી જાફરાબાદના આગેવાનો, સરપંચોને મોકલી હતી કયાં અને કેવા કારણોસર વધુ પીવાના પાણીના અસરગ્રસ્ત ગામોના સરપંચો સુધી આ માહિતી ન પહોંચી તેનો મને ખ્યાલ નથી.

અંબરીષ ડેરે કહ્યું હતું કે મંત્રીશ્રી ફળદુ અને બાવળીયા સરળ અને સહજ સ્વભાવના આગેવાનો છે મને નિમંત્રીત કરવાની બાબતે તેઓ પણ અંધારામાં રહ્યા હોવાનું મને લાગે છે.

મંત્રીશ્રી ફળદુ અને મંત્રી બાવળીયાના પ્રવાસ દરમયાન હિરાભાઇ સોલંકી, જીવનભાઇ બારૈયા, રવુભાઇ ખુમાણ, હિરેન હિરપરા સહિતના આગેવાનો સાથે રહ્યા હતાં.

(2:07 pm IST)