સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનો મૃતદેહ બીજા દિવસે પણ ન સ્વીકારાયોઃ ધારાસભ્યને ઘેરાવ

જવાબદારો સામે કાર્યવાહી કરવા એસપી ત્થા પોલીસ અધિકારીઓની ખાત્રી

વઢવાણ તા. ૧૧ : છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના બ્રાહ્મણ યુવક કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે પુછપરછ કરવા લઇ ગયા બાદ તેની  તબીયત લથડી હતી અને તેનું મોત થતા પરિવારજનો દ્વારા પોલીસ સામે આક્ષેપો કરીને પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધા બાદ એસ.પી. શ્રી બગડીયા સહિતના અધિકારીઓએ ખાત્રી આપતા રાજકોટથી મૃતદેહને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરમાં રહેતા કશ્યપ હીમાંશુભાઇ રાવલ નામના વિપ્ર યુવાન વિરૂધ્ધ બે દિવસ પહેલા ચીટીંગ સંદર્ભે સુરેન્દ્રનગર બી.ડીવી. પોલીસને અરજી મળી હોય ડીવાયએસપી એ. બી. વાળંદની સુચના બાદ સ્ટાફે કશ્યપ રાવલને બાવળા પાસેથી ઝડપી લીધો હતો. અને બી. ડીવી. પોલીસ મથકમાં ગુરૂવારે તબીયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજયંુ હતું.

આ બનાવ અંગેની જાણ થતા મૃતક કશ્યપના પિતા હીમાંશુભાઇ રાવલ સહિતના પરીવારજનો તથા બ્રહ્મસમાજના આગેવાનો દોડી ગયા હતા અને પોલીસના મારથી કશ્યપનું મૃત્યુ નિપજયા સહિતના આક્ષેપો કર્યા હતા અને ફોરેન્સિક પીએમ અર્થે કશ્યપ રાવલનો મૃતદેહ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતો. જયાં મૃતકના પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને જવાબદાર પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવાની માંગણી કરીહતી. બાદમાં એસપી સહિતના અધિકારીઓ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી છે. આ અંગે એસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ ઘટના બાદ સુરેન્દ્રનગરમાં મૃતક યુવકના પરિવારજનો અને બ્રહ્મસમાજ દ્વારા ધારાસભ્યને ઘેરાવ કરવામાં આવ્યો હતો.

(2:09 pm IST)