સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

ઉપલેટામાં પણ ૭૫૦ ગ્રામ ખાતર ઓછુઃ ડેપો સોમવાર સુધી બંધ

રાજય સરકાર સામે કોંગ્રેસ,કિસાન આગેવાનો અને ખેડૂતો દ્વારા આક્રોશ

જામજોધપુરઃ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની આગેવાનીમાં જનતા રેડ કરાઇ હતી.

રાજકોટ તા.૧૧: ખાતરની થેલીઓમાં ખાતર ઓછુ નીકળતા ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે ઉપલેટામાં પણ ૫૦૦ થી ૭૫૦ ગ્રામ ખાતર ઓછુ નીકળતા કોંગ્રેસના આગેવાનો,કિશાન આગેવાનો, ખેડૂતો રાજય સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. કોંગ્રેસને વધુ એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપનો મોકો મળી ગયો છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરના ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂનઃ ખાતર વેચાણ શરૂ કરવા સરકારે જણાવ્યુ છે.

મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનેજિંગ ડિરેકટરને આ ખાતર વેચાણ બે દિવસ એટલે કે રવિવાર સુધી બંધ રાખવા સુચના આપે છે.

રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી અને જી.એસ.એન.સી.ને આપ્યા છે.

ઉપલેટા

ઉપલેટાઃ ગુજરાતમાં પેક થેલીમા રાસાયણીક ખાતર ઓછુ ભરતી કરતા હોવાના અને ખેડુતોને ઓછુ ખાતર આપી કંપની દ્વારા છેતરપીંડીની ફરીયાદો ઉઠવા પામેલ છે.

ત્યારે ઉપલેટામાં પણ છેતરપીંડા થતી હોવાની ફરીયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઇ તાલુકા પંચાયતના પ્રમુખ-લાખાભાઇ ડાંગર-રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાળા-કપીલભાઇ સોલંકી- કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટીલાઇઝસેના ડેપોએ ઘસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછુ હોવાની ફરીયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર-પરમારને જાણ કરતા તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.

ડેપોમાં હાજર રહેલ જુદી જુદી બાન્ડના ખાતરની થેલીઓ કોંગ્રેસના આગેવાનોએ ચેક કરવાના હેતુથી વજન-કરાવતા દરેક થેલીમાં ૪૦૦ થી લઇને ૭૫૦ ગ્રામ ડી.એ.પી.ખાતર ઓછુ હોવાનુ જણાતા ખેતીવાડી અધિકારીની હાજરીમાં રોજકામ કરવામાં આવેલ હતું.

જો.કે. ડેપોના મેનેજર પોતે ખાતર વેચવાનુ બંધ કરી દીધાની આગેવાનોને જાણ કરેલ હતી.

(11:42 am IST)