પોરબંદરના કુછડીમાં પ્રેમ સંબંધની ના પાડતા યુવતીની હત્યા
પરીણિત પુરૂષ સાથે પ્રેમ સંબંધ બાદ યુવતીની સગાઇ થઇ જતા ડખ્ખો : પ દિવસ પહેલા મળેલ યુવતીની લાશ ભેદ ઉકેલતી એલસીબી પોલીસ
પોરબંદર, તા. ૧૧: પાંચ દિવસ પહેલા કુછડીની રીંણાવાડા સીમમાં યુવતીની મળેલી લાશનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી લીધો છે.
હત્યા થયેલ યુવતી વનીતા ઉર્ફે વીરૂ રણજીતભાઇ કારાવદરા (ઉ.ર૧)ને પરીણિત પુરૂષ સાથે પ્રેમ સંબંધ હતો અને યુવતીની સગાઇ થઇ જતા અને પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પરીણિત પુરૂષ ખાપટના હાર્દિક મેણંદ મોઢવાડિયા ઉશ્કેરાય જઇને તિક્ષણ હથિયારોના ઘા મારી ને વનીતાની હત્યા કરી નાખી હતી.
પાંચ દિવસ પહેલા કુછડીની વનીતા ઉર્ફે વીરૂ રણજીતભાઇ કારાવદરા (ઉ.વ.ર૧)ની કુછડીની રીણાવાડા સીમમાં લાશ મળી હતી આ બનાવની પોલીસને જાણ મરનારના પિતા રણજીતભાઇએ કરતા પોલીસે લાશને પોરબંદરની સરકારી હોસ્પિટલે પી.એમ. માટે મોકલી હતી. પી.એમ. રીપોર્ટમાં તેનું મૃત્યુ શરીરે તિક્ષણ હથિયારના ઘા મારવાથી થયાનું ખુલ્યું હતું.
એલસીબી પોલીસે આ બનાવમાં ઝીણવટ ભરી તપાસ કરીને હત્યા સંબંધે ખાપટના હાર્દિક મેણંદ મોઢવાડિયાની અટક કરતા તેમણે કબુલાત આપી હતી કે પોતે પરીણિત છે અને વનીતા સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો દરમિયાન વનીતાની સગાઇ થઇ જતા પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા હાર્દિક ઉશ્કેરાઇ જઇને તિક્ષણ હથિયાર વડે વનીતાની હત્યા કરી નાખી હતી.
એલસીબી દ્વારા ઉડાણપૂર્વક તપાસ બાદ યુવતીના લાશનો ભેદ પ દિવસમાં ઉકેલ આવેલ છે તપાસ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી. દરજી ચલાવી રહ્યાં છે.