વાંકાનેર પાસે બિહારી યુવકની હત્યામાં રહસ્યના આટાપાટાઃ પોલીસને કોઇ કડી મળતી નથી
મૃતક મુન્ના ચોબે સાથે અગાઉ ડખ્ખો કરનાર દેવીપુજક શખ્સોની પુછતાછ : બિહારી યુવકના મૃતદેહ પાસે મીઠુ મળી આવતા અને બાજુમાં મંદિર હોય બલી ચડાવ્યાની શંકાએ પણ તપાસનો ધમધમાટ
રાજકોટ, તા., ૧૧: વાંકાનેર નજીક બિહારી યુવકની ધડથી માથુ અલગ કરી ક્રુરતાપુર્વક હત્યાની ઘટનામાં પોલીસને હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. જો કે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ જારી રાખ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પરના મંદિર નજીક મૂળ બિહારના મુન્ના ચોબે નામના યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાનના ગળા પર તિક્ષ્ણ હથીયારના સંખ્યાબંધ ઘા ઝીંકી ધડથી માથુ અલગ કરી દેવાયાનું ખુલ્યું હતું. હત્યાના આ બનાવ અંગે મૃતકના બનેવી વિકાસકુમાર ઉપાધ્યાયે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે.
દરમિયાન મૃતક મુન્ના ચોબેને અગાઉ દેવીપુજક શખ્સો સાથે ડખ્ખો થયાનું ખુલતા તાલુકા પોલીસે આ દેવીપુજક શખ્સોની પુછતાછ હાથ ધરી છે તેમજ અન્ય શકમંદ શખ્સોની પણ પુછતાછ કરાઇ રહી છે. બીજી બાજુ મૃતક યુવાનની લાશ પાસેથી મીઠું મળી આવ્યંુ હોય અને ગળુ કાપી હત્યા કરવામાં આવી હોય તેમજ બાજુમાં મંદીર હોય બલી ચડાવવા જેવું કોઇ કારણ તો નથી ને? તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુ તપાસ તાલુકાના પીએસઆઇ એસ.અ.ગોહીલ ચલાવી રહયા છે.