સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th May 2019

બેટ અને દ્વારકા પંથકમાં પાણી પ્રશ્ન ઉકેલવા ૨૫૫ કરોડની યોજના

ભવિષ્યમાં ૩૦ વર્ષ સુધી પાણી સમસ્યા ન રહે તે માટે રીમોડલીંગ વ્યવસ્થાઃ રાજયમંત્રી હકુભા જાડેજાનો પ્રવાસ-સમીક્ષા બેઠક

દ્વારકા તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય યાત્રાધામો બેટ દ્વારકા અને દ્વારકા નાગેશ્વર જયોતિર્લિગ સહિતના ગ્રામ્ય વિસ્તારોને ભવિષ્યના ત્રીસ વર્ષ સુધી પાણીની સમસ્યા ન પડે અને પાણી પૂરવઠો સતત કાર્યરત રહી શકે તેવી ગુજરાત રાજય સરકારની મહાત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમલમાં મૂકી છે. રૂપિયા બસ્સે પંચાવન કરોડના ખર્ચે સાકાર થવા જઇ રહેલી આ યોજના અંગેની વિગતો આપતા રાજયમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ યોજનાથી પશ્ચિમી છેવાડાના આ વિસ્તારની પાણીની સમસ્યાનો અંત આવી જશે.

વર્તમાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખામંડળ જૂથ પાણી પૂરવઠા યોજના ૪૦ લીટર માથાદીઠ પાણી આપવાના ધારાધોરણ મુજબ વર્ષ ૧૯૯૨ થી કાર્યાન્વીત થયેલ છે. સદર જૂથ યોજના મારફત ઓખામંડળ તાલુકાના ૩૭ ગામ અને ૨ શહેરને સાની ડેમ તથા એન.સી.-૨૧ નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી પૂરવઠો આપવામાં આવે છે. સાની ડેમ તથા નર્મદા પાઇપલાઇનનું પાણી કલ્યાણપુરથી વાયા ભાટીયા લાવવામાં આવે છે જયાં પાણી ફીલ્ટર કરી પમ્પીંગ દ્વારા પાઇપલાઇન મારફતે ગોરીજા લાવી બાદ ગોરીજાથી પાઇપલાઇન દ્વારા બેતાલીસ કિમી અંતર સુધી પમ્પીંગ કરી ઓખા તથા બેટ દ્વારકાને પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

ભારતના પશ્ચિમી છેવાડાના કૃષ્ણભૂમિ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણી પ્રશ્ન હલ કરવા અને સમીક્ષા કરવા ખાસ જવાબદારી સોંપવામાં આવતા રાજયમંત્રીએ દ્વારકા તથા તાલુકાના ગોરીંજા અને બરડીયા ખાતે પદાધીકારીઓ, સરપંચો અને અધિકારીઓ તથા પાલીકા પ્રમુખ અને સદસ્યો સાથે ચર્ચા વિચારણા કરી વર્તમાન સ્થિતિમાં સુધારો લાવવા અને માત્ર એક અઠવાડીયામાં જ પાણી પૂરવઠો વધુ સારી રીતે પ્રજાને મળે તે માટેનું આયોજનપૂર્વકનું સંકલન કરવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠકના આ દોરમાં રાજયમંત્રી હકુભા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, દ્વારકા પાલીકા પ્રમુખ જીતેષ માણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા, ઓખા પાલીકા પ્રમુખ ચેતન માણેક, ઉપપ્રમુખ ચેતન માવાણી, તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા, ભાજપ તાલુકા પ્રમુખ ખેરાજભા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ઓખા શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇ, તાલુકા પંચાયત પ્રમુખ લુણાભા સુમણીયા તથા અગ્રણીઓ પી.એસ.જાડેજા, વિઠલભાઇ સોનગરા અને અધિકારીગણમાં જ્લિલા કલેકટર નરેન્દ્રકુમાર મીના, નાયબ કલેકટર દર્શન વિઠલાણી, પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર નાગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઓખાના પાલીકા પ્રમુખ ચેતન માણેકે ઓખા પાલીકા વિસ્તારમાં પૂરતા પાણીના જથ્થાને રસ્તામાં જ ખેડૂતો દ્વારા પાઇપલાઇનમાં તોડફોડ કરીને રોકવામાં આવતું હોવાનું જણાવી ઓખા અને બેટ દ્વારકાને પાણીનો જથ્થો અપૂરતો મળે તેમ જણાવી જો પાણીની ચોરી રોકવામાં આવે તો પ્રજાને પૂરતૂં પાણી આપી શકાય તેમ જણાવી જેના અનુસંધાને રાજયમંત્રી હકુભા અને જિલ્લા કલેકટર મીનાએ આવતીકાલથી જ મહેસુલી તંત્ર, પાણી પૂરવઠા બોર્ડ અને પોલીસ તંત્ર સાથેની ખાસ ટીમ બનાવી પાણી ચોરો ઉપર તૂટી પડવાનો પણ આદેશ કર્યો છે.

પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર નાગરે જણાવ્યું હતું કે ગત માસમાં વીસ દિવસમાંથી ઓગણીસ દિવસ વિજ પૂરવઠો કાર્યરત ન હોય અને વારંવાર વિક્ષેપ પડવાના કારણે પણ પાણી સમસ્યા સર્જાઇ રહી છે. જેેેથી પીજીવીસીએલના વિભાગને પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજયમંત્રી હકુભાએ જણાવ્યું હતું કે ગત બુધવારે રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં આખા રાજયની પાણી સમસ્યાની સમીક્ષા વખતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારકા અને બેટ દ્વારકાની પાણી સમસ્યા અંગે ખાસ ચિતિંત છે અને કોઇપણ ભોગે રાજયમાં પાણીની સમસ્યાનો ઉકેલ તો સરકાર કરી જ રહી છે પરન્તુ દ્વારકા અને બેટ દ્વારકા આવતા યાત્રીકો માટે પણ પાણીની વ્યવસ્થા અંગે ખાસ આયોજન કરવા સૂચનાઓ અપાઇ છે.

(11:24 am IST)