ધોરાજી કોંગ્રેસમાં ભંગાણ : તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૭ સભ્યો ભાજપમાં
જુનાગઢમાં વિજયભાઇ રૂપાણીએ કેસરીયો ખેસ પહેરાવ્યો
ધોરાજી, તા. ૧૦ : ધોરાજીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું લલિત વસોયા ની તેમના તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સાત સભ્યો જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરીમાં કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ શાસનનો તાલુકા પંચાયતમાં અસ્વસ્થતા અને ચૂંટણીના સમયમાં છે ભાજપનો કેસરીયો છવાતા સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ જૂનાગઢ ખાતે ભારતીય જનતા પાર્ટી ની વિશાળ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા સાંસદ રાજેશભાઇ ચુડાસમા વગેરેની હાજરીમાં ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નીતાબેન રસિકભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ સભા સામે પહોંચ્યા હતા બાદ કૃષિ કેમ્પસ સરદાર ભવનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પોરબંદર લોકસભા સીટ ના ઉમેદવાર રમેશભાઈ ધડુક વગેરેની હાજરીમાં ધોરાજી તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા સહિત સાત સભ્યોએ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તમામ સભ્યોને કેસરીયો ખેસ પહેરાવી આવકાર્ય હતા
આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવેલ કે પોરબંદર લોકસભાની ચૂંટણીના સમયમાં ધોરાજી તાલુકા પંચાયત મોટા ભાગના સભ્યો ભાજપમાં પ્રવેશ કરતા તાલુકા પંચાયતમાં પણ કેસરિયો છવાયો છે ત્યારે ધોરાજી તાલુકાના તમામ ગામડાઓનો અને આવેલા સભ્યશ્રીઓ નો આવકાર સાથે અભિનંદન પાઠવું છું
આ સાથે રાજયના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા એ જણાવેલ કે ધોરાજી તાલુકા પંચાયત પહેલા ભાજપની હતી બાદ નવી ચૂંટણીમાં કોંગ્રેસના ૧૫ અને ભાજપ નો એક સભ્ય ચુંટાઈ આવેલ હતો જેમાં સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને આપી જે આજે ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા અને તેની સાથે છ સભ્યો કુલ સભ્યો ભાજપમાં પ્રવેશ કરતા અને એક સભ્ય ભાજપનો હતો તો ટોટલ ૮ સભ્યો ભાજપમાં હતા આજથી જ ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે અને કોંગ્રેસમાં સન્નાટો છવાઈ રહ્યો છે જે જોતા પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક ને મોટું જનસમર્થન આ વિસ્તારમાંથી મળ્યું છે
ભાજપમાં પ્રવેશ કરનાર ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન રસિકભાઈ ચાવડાએ જણાવ્યું કે ગુજરાત સરકારમાં ભાજપનું શાસન અને ધોરાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાને કારણે આ વિસ્તારના વિકાસ કામો થતા નહોતા જે માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ કામ કરી શકતા નહોતા જેના કારણે અમારે લોકોના કાર્ય કરવા માટે સાત સભ્યો સાથે મળી મુખ્યમંત્રીની હાજરીમાં અમો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે અને આ વિસ્તારમાં વિકાસ કામ કરીશું.