ઉપલેટામાં ૧૭૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત : પાલિકા દ્વારા કડક કાર્યવાહી
ઉપલેટા તા. ૧૧ : ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આર.સી. દવે તથા નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની સૂચના મુજબ પ્લાસ્ટિકના ઝબલાં તેમજ પ્લાસ્ટિકની વસ્તુઓને જથ્થાબંધ વેચતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જેમાં બડાબજરંગ રોડ પર આવેલ જનતા પ્લાસ્ટિકમાં ચેકિંગ કરાતા અંદાજીત ૮૫ કિલો, ત્રણ કમાન પાસે આવેલ જલારામ પ્લાસ્ટિકમાં ૪૦ કિલો, રાજમાર્ગ પર આવેલ શ્રીજી પ્લાસ્ટિકમાં ૨૫ કિલો તેમજ બંબાગેટ પાછળ આવેલ શિવશકિત પ્લાસ્ટિકમાંથી ૨૦ કિલો મળી કુલ ૧૭૦ કિલો જેટલું પ્લાસ્ટિક જેની કિંમત ૨૫,૫૦૦નું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતુ.
આ દરેક વેપારીઓને નિયમ મુજબના દંડ ફટકારવામાં આવેલ હતા. ગયા ડિસેમ્બર માસમાં વેપારીઓને બોલાવી ચીફ ઓફિસરઙ્ગ દ્વારાઙ્ગ સ્પષ્ટઙ્ગ સૂચનાઓ આપવામાં આવેલ કે પહેલી જાન્યુઆરીથી પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેથી કોઈપણ વેપારીએ નવો માલ ખરીદવો નહીં તેમજ જુના સ્ટોકનો ગમે ત્યાં નિકાલ કરી દેવો. જે બાબતે વેપારીઓએ પણ સહમતી સાધી હતી. પરંતુ અમુક વેપારીઓ દ્વારા નીતિનિયમો નેવે મૂકી વેચાણ ચાલુ રખાતા નગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતા અન્ય વેપારીઓએ પ્રતિબંધિત વસ્તુઓનો સંકેલો કરી લીધો હતો. તેમજ ફરીથી દરેક વેપારીઓને સુચના આપવામાં આવેલ છે કે કોઈપણ વેપારી પાસે સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રતિબંધિત જથ્થો હોય તો એ લોકોએ વેચાણ ન કરવું.
અન્યથા કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. આ કામગીરીમાં શોપ ઈન્સ્પેકટર નારણભાઈ ચંદ્રવાડિયા, ઈન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેકટર અશોકભાઈ ડેર, સેનેટરી કલાર્ક અનુભા જાડેજા, તુષારભાઈ સહિતનાઓ સાથે ટીપરવાન સ્ટાફ જોડાયો હતો.(૨૧.૧૪)