સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

અમૃત ખેડૂત બજાર હેઠળ ભાવનગરને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર

તંત્રની નવતર પહેલને પ્રથમ દિવસથી જ બહોળો પ્રતિસાદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : આત્મા પ્રોજેકટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમા, રીલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે રાજયની પ્રથમ એવી નવતર પહેલ શરૂ કરવામા આવી છે. જેમા ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને શહેરમા પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમા રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે તેવા લોકોને સરળતાથી ગામડામા સંપુર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે. જેમા ભાવનગર જિલ્લાના ૧૩૪ ખેડુતો દ્વારા જુદી જુદી ખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે તથા ડી.ડી.ઓ. શ્રી વરૂણકુમાર બરનવાલે અમૃત ખેડુત બજારને ખુલ્લી મુકી હતી અને બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ હતુ.

અમૃત ખેડુત બજારને ખુલ્લુ મુકતા રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે આજે લોકો અને ખેડુતો બન્ને ઓર્ગેનિક તરફ વળ્યા છે ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવુ શુધ્ધ ઉત્પાદન દ્યર આંગણે જ મળશે. રાસાયણીક ખાતરથી પાક મબલખ આવે છે પરંતુ તે જમીન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આગળ જતા તેનાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની શકયતા પણ રહેલી છે અને તેથી જ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ પ્રાકૃતિક કૃષિ માટેનુ દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યુ છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે ભાવનગરમા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લાના ખેડુતો તથા શહેરીજનોની માંગ હતી કે તેઓને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આ અમૃત કૃષિ બજાર ઉભુ કરવામા આવ્યુ છે. અહી સખી મંડળના ઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામા આવ્યા છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. સાથે સાથે ખેડુતોને ઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે તેમજ ગ્રાહકોને ગુણવત્ત્।ાયુકત ઉત્પાદન મળશે.

અમૃત ખેડુત બજારમા ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, જયુસ, ફરસાણ, રમકડા, ફિનાઇલ, પ્રાકૃતિક દવાઓ, હળદર સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બજાર દર રવિવારે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે.આ પ્રસંગે વેચાણ માટે આવેલા ખેડુતો તથા ખરીદી માટે આવેલા શહેરીજનોએ આ વ્યવસ્થાથી લાભાન્વીત થઇ પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો અને આવી સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ આત્મા પ્રોજેકટ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.આર.કોસાંબી, નાયબ ખેતીવાડી અધિકારીશ્રી દવે, આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી બદદાણીયા, બાગાયત નિયામકશ્રી વાઘમશી, યંગ ઇન્ડિયા ગૃપના સભ્યો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)