ટંકારાના વિરપર નજીકના ચંપાપુરી દેરાસરમાં ચોરીના ઇરાદેથી આવેલ તસ્કરોએ ચોકીદાર પર હુમલો કર્યો
મોરબી-ટંકારા, તા.૧૧: ટંકારામાં અવારનવાર ચોરીની દ્યટનાઓ સામે આવી છે. ત્યારે મોરબી રાજકોટ હાઈવે પર વિરપર નજીક આવેલ જૈન સમાજના તિર્થસ્થાન ચંપાપુરી દેરાસરમાં ચોરીના ઇરાદેથી આવેલ તસ્કરોએ ચોકીદાર પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઈવે પર વિરપર નજીક આવેલ જૈન સમાજના તિર્થસ્થાન ચંપાપુરી દેરાસરમાં ગતરાત્રિના સમયે પાંચ જેટલા તસ્કરો ચોરી કરવાના ઇરાદે ત્રાટકયા હતા. જેમાં જૈન દેરાસરના ગેટ પર રહેલ બે ચોકીદાર સરદાર સુજીન્દ્રસિહ અને નેપાળી જીવનએ ચોરી કરવા આવેલા આ પાંચેય શખ્સોને પડકાર્યો હતા. તો પાંચેય અજાણ્યા શખ્સોએ ચોકીદારને ઢોર માર મારતા ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. અને બાદમાં ચોરીના ઇરાદેથી આવેલ તસ્કરોનો ખાલી હાથે ચોરી કર્યા વિના જ ત્યાંથી નાશી ગયા હતા. બંને ચોકીદારને ઈજા થતા તેઓ બુમા બુમ કરી મુકતા આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધીમાં તસ્કરો ભાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં ૧૦૮ ટીમના પાઈલોટ જયદેવસિહ જાડેજા અને ડો. વલ્લભભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. તો બનાવની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.