જયોતિપરાની કેનાલમાં ગરક રિંકુબેનની લાશ મળે નહીં ત્યાં સુધી ગ્રામજનો કયાંય કામે નહીં જાય
લખતર પંથકની કરૂણ ઘટનાઃ બે બાળકોનો કલ્પાંતઃ નર્મદા કેનાલમાંથી લાશ શોધવા આખુ ગામ, તંત્ર ધંધે લાગ્યુ
વઢવાણ તા. ૧૧ :.. લખતરના જયોતિપરા ગામે નર્મદા કેનાલમાં ગરક થઇ ગયેલ મહિલાની લાશ ર૪ કલાક થઇ જવા છતાં નહી મળતા આખું ગામ અને તંત્ર કામે લાગ્યું છે.
નાનકડા એવા ગામમાં રહેતી મહિલા રિનકુબેન મહેશભાઇ માનકોલિયા પરમ દી' બપોરના સુમારે નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગઇ હતી. અને પાણી પીવા માટે અંદર ઉતરતા પાણીમાં ગરક થઇ ગઇ હતી, આ મહિલાને એક દીકરો નરેશ ઉ.આશરે ૪ વર્ષ અને દીકરી જાનકી આશરે ઉ.૧.પ દોઢ વર્ષ પાછળ કલ્પાંત કરી રહ્યા છે.
ત્યારે ર૪ કલાક થઇ જવા છતાં તેણીની લાશ નહિ મળતા હજી સુધી નિરાશા હાથ લાગી છે.ગામન લુહાર પાસે પાણીમાંથી વસ્તુ કાઢવાના આંકડીયો બનાવરાવી ગામના લોકોએ કેનાલમાં તપાસ ચાલુ કરી હતી.જયારે ગામના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ જયાં સુધી રિનકુબેનની લાશ નહિ મળે ત્યાં સુધી ગામમાંથી છ મહિનાના બાળકથી માંડી સિત્તેર વર્ષના વૃધ્ધ સુધીના કોઇ પણ, ગામના લોકો કયાંય પણ કામે જશે નહિં. (પ-૧૬)