લગ્નના પાંચમા દિવસે જ જ્યોત્સનાએ ઝેર પી જીવ દીધોઃ પ્રજાપતિ પરિવારમાં કલ્પાંત
પતિએ એક દિવસ પછી માતવરે જવાનું કહેતાં માઠુ લાગ્યું : જામનગરના સિક્કા ગામના મેઘજીભાઇ ઘેડીયાની દિકરીના જામજોધપુરના ચેતન ચિત્રોડા સાથે લગ્ન થયા'તાઃ નવોઢાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો
રાજકોટ તા. ૧૦: લગ્નના પાંચ જ દિવસ બાદ એક નવોઢાએ ઝેર પી જીવ દઇ દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જામજોધપુરની આ ઘટનામાં પતિએ એકાદ દિવસ પછી માવતરે જવાનું કહેતાં માઠુ લાગી જતાં નવોઢાએ પગલુ ભરી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ જામજોધપુર બસ સ્ટેશન નજીક એક્સીસ બેંક રોડ પર રહેતી જ્યોત્સનાબેન (જોશનાબેન) ચેતનભાઇ ચિત્રોડા (ઉ.વ.૩૭) નામની પ્રજાપતિ કુંભાર પરિણીતાએ ગઇકાલે ઘરે ઝેરી દવા પી લેતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જામજોધપુર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હજુ પાંચ દિવસ પહેલા જ જ્યોત્સનાબેનના લગ્ન થયા હતાં. ખંભાળીયામાં યોજાયેલા સમુહ લગ્નોત્સવમાં તેણીએ ચેતન ચિત્રોડા સાથે પ્રભુતામાં પગલા પાડયા હતાં. તેણીના માતવર જામનગરના સિક્કા ખાતે રહે છે અને પિતાનું નામ મેઘજીભાઇ નારણભાઇ ઘેડીયા છે. પતિ ચેતનભાઇ ચિત્રોડા જામજોધપુરમાં મોબાઇલનું કામ કરે છે. તેમણે કહ્યું હતું કે પત્નિને સિક્કા માવતરે આટો દેવા જવું હતું. તેણીને એકાદ બે દિવસ પછી જઇશું તેમ કહેવાતાં માઠુ લાગી ગયુ હતું અને આ પગલુ ભરી લીધું હતું. હજુ પાંચ દિવસ પહેલા જ જેના લગ્નની શરણાઇઓ ગુંજી હતી અને ઢોલ વાગ્યા હતાં એ નવોઢાના મરશીયા ગવાતાં ગમગીની છવાઇ ગઇ હતી. જામજોધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.