આટકોટ પાસે બે ટ્રક પલ્ટી જતા આટકોટના યુવક અને બિહારના મજુર સહિત બેના મોતઃ ૩ ને ઇજા
આટકોટ, તા., ૧૦ : જસદણ નજીકના આટકોટ પાસે બે ટ્રક પલ્ટી ખાઇ જતા આટકોટના યુવક સહિત બેના મોત નિપજતા અરેેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહીતી મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી કપાસ ભરીને ટ્રક નં. જીજે-૧ર-ટી-૬૪૭ર જંગવડ રોડ ઉપર જીનમાં જઇ રહયો હતો. પાછળથી આવી રહેલા કન્ટેનર ભરેલ ટ્રક નં. જીજે-૧ર-બીડબલ્યુ-૭૩૯૪ વચ્ચે અકસ્માત સર્જાતા બંન્ને ટ્રક પલ્ટી ખાઇ ગયા હતા.
જેમાં કપાસ ભરેલા ટ્રકમાં બેઠેલા બિહારના મજુર તથા જાણે કાળ બોલાવતો હોય તેમ આટકોટ બસ સ્ટેન્ડે ઉભા રહેલા ઋત્વીક પ્રવિણભાઇ જમોડ (ઉ.વ.૧૭) (કોળી) પણ આટકોટથી ટ્રક પસાર થતા પરીચીતનો ટ્રક હોવાથી તે પણ તેમાં બેઠા હતા અને આટકોટથી માત્ર ૬ કી.મી. દુર પહોંચતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઋત્વીક સહિત બેના મોત નિપજયા હતા. આ અકસ્માતમાં વિનાયક ચૌધરી, સતરોહન સદાયક, જુમના સદાયક સહીતને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ જસદણ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસડેલ છે. આ બનાવ અંગે આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતક અને ઇજાગ્રસ્ત મજુરો બિહારના બેનીપત ગામના હોવાનું જાણવા મળ્યું છે. (૪.૧૦)