કાલે વિરપુરમાં ભજન - ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે
પૂ. જલારામ બાપાની જન્મજયંતિ ગાદીપતી પૂ. રઘુરામબાપાના સાનિધ્યમાં ઉજવાશે : અનેક પદયાત્રા સંઘોનું આગમન
(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૦ : પૂ. જલારામ બાપાની કાલે ૨૨૨મી જન્મજયંતિ વિરપુર (જલારામ) ખાતે ગાદીપતી પૂ. રઘુરામબાપાના સાનિધ્યમાં ભવ્યતાથી ઉજવાશે.
ભજન ,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ વીરપુરમાં જલાબાપાની જયંતીને લઈને દેશભરના ભાવિકોᅠ દર વર્ષે પૂજય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા ૧૪ વર્ષથી સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો સંઘ આજે આવી પહોંચ્યો હતો,સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને પૂજય બાપાના દર્શન કર્યા હતા, આ સંઘના પરેશભાઈ પટેલે તથા બીપીનભાઈ મોદીએ જણાવેલ કે તેઓ ૧૫૦ જેટલા લોકો જેમાં મહિલા તેમજ બાળકો સહિત પુરૂષોનો સંઘ લઈને દિવાળી પહેલા ૨૭ તારીખે નીકળ્યા હતા. બાપામાં અતૂટ શ્રદ્ધા અતૂટ વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓએ દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે ૧૩મી દિવસે વીરપુર આવી પહોંચ્યા છે અને ૨૨૨મી જલારામ બાપાની જન્મ જયંતી ઉજવણી કરીને પછી સુરત પરત ફરશે.આ પદયાત્રીઓની સુવિધા વીરપુરના સેવાભાવી યુવા દુષ્યંતસિંહ ઝાલાએ કરી હતી.
વિરપુર (જલારામ)માં પૂ. જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવા વિરપુર વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણી ના ભાગરૂપે વિરપુરની મેઇન બજારોમાં રંગબેરંગી લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો વિરપુર વાસીઓએ પણ પોતાના ઘર, દુકાનોને અવનવી લાઇટથી સુશોભિત કર્યા છે. ગુરૂવારે બાપાની જન્મજયંતિને લઇને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે ૨૫૦ જેટલા સ્વયંસેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.
તેમજ પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ અલગ અલગ ચોકમાં અવનવા ફલોટ તૈયાર કરાયા છે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.