ધોરાજીના ધર્મેન્દ્ર બાબરીયાએ તેમના સુપુત્રની સગાઇ સમયે દેહદાન - ચક્ષુદાનનો સંકલ્પ કર્યો
બંને પતિ-પત્નીએ તેમના ન્યુઝીલેન્ડ સ્થિત સુપુત્રની ઓનલાઇન સગાઇ સમયે સંકલ્પ પત્ર ભર્યું: મૃત્યુ બાદ દેહને ચક્ષુ સાથે બાળો નહી પરંતુ અમૂલ્ય ચક્ષુનું દાન કરો : ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજી તા. ૧૦ : માણસને માણસ કામમાં ન આવે તો બીજું કોણ આવે? હવે સમય સંજોગો મુજબ લોકોમાં જાગૃતિ આવી છે જેથી જીવતા રક્તદાન અને મૃત્યુ બાદ દેહ દાન તરફ લોકો વળ્યા છે જે સારી બાબત છે. દેહદાન એ કોઈના મૃત્યુ બાદ કરાતું દેહદાન જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ને પરીક્ષણ અને માહિતી સાથે ભણતરમાં મહત્વની ભૂમિકા છે. અને ચક્ષુદાન એ પણ મૃત્યુ બાદᅠ અન્ય જીવીત નેત્રહીન લોકોનાં અંધકારમય જીવનમાં અજવાળું પાથરે છે એટલે ચક્ષુદાન પણ મહાદાન છે. જીવમાંથી શિવ તરફનું પ્રયાણ થયા બાદ નેત્રદાનએ સમજદારી સાથે માનવસેવાનું ઉતમ ઉદાહરણ છે. અમીર કે ગરીબ કોઈ પણ કરી શકે એ અમૂલ્ય મહાદાન એટલે નેત્રદાન
આપણા મૃત્યુ પછી આપણી આંખોથી નેત્રહીન વ્યક્તિ પણ આ ખુબસુરત દુનિયા જોઈ શકે તેનાથી વધુ રૂડું શું હોય એટલે ફક્ત આપણી એક ઈચ્છા જ પૂરતી છે જે નેત્રદાન દ્વારા પુરી કરી શકાય છે. ત્યારે આવાજ સુંદર વિચાર અમલમાં મુક્યા ધોરાજીનાં માનવસેવા યુવક મંડળ નાં ધર્મેન્દ્ર બાબરીયા એ અને તેમના પત્ની એ મનમાં ગાંઠ વાળી લીધી કે જીવતા થાય તેટલી માનવસેવા કરવી પરંતુ મૃત્યુ બાદ પણ દેહદાન અંને ચક્ષુદાન કરીને નેત્રહીન મનુષ્ય ના અંધકારમાં ઉજાસ પાથરવો અને મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓને દેહદાનથી અભ્યાસ ક્રમમાં પરીક્ષણ માટે ઉપયોગી બને ધર્મેન્દ્ર બાબરીયા અને તેમના પત્ની ચંપાબેનનો ઈજનેર સુપુત્ર સિદ્ધાર્થ જે ન્યુઝીલેન્ડમાં છે અને તેમની તારીખ ૧૭ ઓક્ટોબર નાં રોજ રાજકોટ સ્થીત ડોક્ટર કૃતી મેઘાણી સાથે ઓનલાઇન સગાઈ કરવામાં આવી હતી અને આ શુભ પ્રસંગે સર્વે મહેમાનો સંબંધીઓ કુટુંબીજનોની હાજરીમાં ધર્મેન્દ્ર બાબરીયા અને તેમના પત્ની ચંપાબહેને દેહદાન અને ચક્ષુદાન નો સંકલ્પ સૌ સમક્ષ રજૂ કરી અને નિયમાનુસાર નોંધણી કરાવી હતી અને હાજર સૌને તેમજ સમાજને જણાવતા કહ્યું હતુ કે માનવ દેહ ક્ષણભંગુર છે અને જીવતા જીવમાત્રની બને તેટલી સેવા થાય તે માનવી તરીકેની ફરજ છે પરંતુ મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરીને દેહને માટીમાં મેળવવો એ કરતા દેહદાન કરીએ એ આજના સાયન્સના યુગમાં મહત્વનું પાસું છે જે દેહદાન મેડિકલના વિદ્યાર્થીઓને માટે એજયુકેશન માટે જરૂરી હોય છે તેમજ ચક્ષુદાન પણ મહત્વનુ છેᅠ આગળ જણાવ્યું હતું કે મૃત્યું બાદ ચક્ષુદાન કરવાથી નેત્રહીન લોકોને તે નેત્ર પ્રાપ્ત થતાં તેમના જીવનમાં ઉજાસ પથરાતા ખુશહાલ બને છે અને મૃત્યુ બાદ પણ અન્યના દેહમાં આંખો વર્તમાન બની હૈયાત રહે છે મૃત્યુ બાદના આ બંને દાનથી મોટુ એકપણ દાન નથી અને હવે પછીનાં સમયમાં ચક્ષુદાન મહાદાન અભિયાન શરૂ કરવા પણ સંકલ્પ કરી અને લોકજાગૃતિ માટે કાર્ય કરવા જણાવ્યું હતું. ધર્મેન્દ્ર બાબરીયા એ ન્યુઝલેન્ડ સ્થિત તેમના દિકરા સિધ્ધાર્થની ઓનલાઇન સગાઈ રાજકોટ નિવાસી સુરેશભાઇ તથા જયોત્સનાબેન મેઘાણીની સુપુત્રી ડો. કૃતિ મેઘાણી સાથે યોજી હતી અને સૌ કોઈની હાજરીમાં બંને પતિ પત્ની એ દેહદાન, ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો તેમજ આ શુભ પ્રસંગે ભેટ સ્વરૂપે મળેલી રકમ રૂ. તેર હજારમાં ધર્મેન્દ્ર બાબરીયા એ રૂ. બે હજાર ઉમેરીને રૂ. પંદર હજારનો ચેક ધોરાજીની ઇમ્પીરિયલ સાયન્સ સ્કુલનાં રોહિતભાઈ લક્કડને અર્પણ કરતા જણાવ્યુ હતું કે આ રકમ કોઈપણ ગરીબ પરીવારની દિકરીની ફી ભરવા માટે આપુ છું. માનવ સેવાને વરેલા ધર્મેન્દ્ર બાબરીયાએ દિકરાની સગાઈ સમયે ભેટ રૂપે મળેલી રકમમાં ઉમેરો કરી ગરીબ દિકરીના અભ્યાસ માટેᅠ સ્કુલમાં ફી આપી સમાજને બે રાહ ચિંધ્યા છે. જીવતા ગરીબો પ્રત્યે હમદર્દી અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન આ બંને નિર્ણયો જ બંને પતિ પત્નીના જીવન વિશે ઘણું બધુ કહીજાય છે. આ પ્રસંગે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા, ભોલાભાઈ સોલંકી, નરેન્દ્ર બાબરીયા, સાગર સાટોડીયા, ચંદુભાઇ ગીણોયા, રમેશભાઇ ગીણોયા, દિપક માથુકીયા, હિતેશ વૈષ્ણવ, મનસુખભાઈ વઘાસિયા, ધિરૂભાઈ ગોંડલીયા, ડો. જયેશ વસેટીયન, જયંતિભાઈ સીદપરાᅠ વિપુલભાઈᅠ મકાનિ સહીત ના મહાનુભાવોᅠ હાજર રહી નવ દંપતિ ને આશિર્વાદ પાઠવ્યા હતા.