જામજોધપુરના ગીંગણીગામ પાસે ખાનગી બસે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટીભર્યું મોત
બસ પલ્ટી ખાઈ જતા ત્રણ મુસાફરોનો ચમત્કારિક બચાવ
ફોટો gingani
જામજોધપુરના ગીંગણીગામ પાસે બાઈક પર જતા દંપતીને ખાનગી બસે હડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જ્યારે પત્નીને સામાન્ય ઈજા પહોંચી છે. બસ પણ પલ્ટી ખાય જતા ત્રણ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો.
અંગેની વિગત મુજબ જામજોધુપર તાલુકાના ગીંગણીગામમાં રહેતા નિલેશભાઈ અરજણભાઈ ડાભી (ઉ.વ.40) નામના કોળી યુવાન અને પત્ની અને પુત્ર આજે સવારે ગીંગણીથી સીદસર જતા રોડ ઉપરથી બાઈક લઈને પસાર થતાં હતાં. ત્યારે ખાનગી મીની બસના ચાલકે પોતાની બસ બેફીકરાઈથી ચલાવીને બાઈકને હડફેટે લઈને નિલેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજાવી અને તેમની પત્નીને સામાન્ય ઈજા પહોંચાડી હતી અને અકસ્માતથી બસ પલ્ટી મારી ગઈ હતી. જેથી બસનો ચાલક બસ મુકીને નાશી છુટયો હતો. આ અકસ્માતથી બસમાં રહેલા અંદાજે 10 થી 15 જેટલા મુસાફરોની ચીચીયારીથી લોકો એકઠા થઈ ગયા હતાં. પરંતુ સદભાગ્યે મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. બસમાં રહેલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હોય તો પણ તેઓએ પોલીસમાં જાહેર કર્યુ ન હોવાનું પોલીસ જણાવી રહી છે.
મુસાફરો બસમાંથી બહાર નિકળીને જતાં રહ્યા હતાં. મુસાફરોને ઈજા પહોંચી હોવાની મુસાફરોએ પોલીસમાં નોંધ કરાવી નથી. જ્યારે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસને જાણ થતાં જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે.મોરી તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.માટે મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે બસ ચાલક સામે મૃતકના ભાઈ ભાવેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.