સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th November 2018

કોડીનાર વિમાંશી હત્યા કેસ: સંબંધો રાખવા-ન રાખવાના દબાણમાં રહેંસાઈ ગઈ 17 વર્ષિય તરુણી, લોકોમાં ભારે આક્રોશ

કોડીનાર : કાળી ચૌદશના દિવસે કોડીનારના ઉના બાયપાસ પર ધોરણ 11 મા અભ્યાસ કરતી 17 વર્ષીય વિમાંશીનો મૃતદેહ મળી આવ્યા હતો . બાદ પોલીસે , કશ્યપ વિજય પુરોહિત અને ધરતી જયપ્રકાશ ઉપાધ્યાયની ધરપકડ કરી છે . જો કે બહુચર્ચિત એવા વિમાંશી હત્યા કેસમાં ક્યા કારણે હત્યા કરવામાં આવી છે તેનો ગીર સોમનાથ એસ પીએ અધકચરો ખુલાસો કર્યો છે . ગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ કહ્યું હતું કે આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે વાતચીતના સબંધ હતા . પરંતુ આ સબંધોમાં કોઈ કારણસર ખટાશ આવી હોય જેને લીધે હત્યા કરવામાં આવી હતી . બીજી તરફ કોડીનારમાં વેપારીઓ અને સમાજના લોકોએ મૌન રેલી યોજી હતી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને આરોપીને કડક સજા આપવા માંગ કરી હતી .

આ હત્યા કેસમાં અનેક સવાલો ઉભા થયા છે . કોણ કોની સાથે રિલેશન રાખવા માટે માંગતું હતું અને કોને રિલેશન રાખવા ન હતા એ હજુ ય સ્પષ્ટ થતું નથી . એક વાત એવી પણ સામે આવી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા માટે દબાણ કરતી હતી . હત્યાનો પ્રકાર જોતાં આ કેસમાં હજુ ય નવા ફણગા ફૂટે તેવી શક્યતા છે . કારણ કે , ચપ્પુના 30 થી 40 જેટલા ઘા ઝીંકીને વિમાંશીની હત્યા કરવામાં આવી હતી . આવું હિચકારું કૃત્ય કરવા માટે ઝનુન ઊભું કરે એટલું મજબૂત કારણ હજુ બહાર આવ્યું નથી .

એવું મનાઈ રહ્યું છે કે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકાના દાયરામાં છે . કશ્યપ અને ધરતીએ વિમાંશીની હત્યાને અંજામ આપ્યા બાદ જે છરીથી હત્યાને અંજામ આપ્યો તે કશ્યપ સ્પોટ પર જ ભૂલી ગયો હતો . જેથી રાત્રે 3 વાગ્યે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરી કોઈના હાથ ન લાગે એ રીતે ક્યાંક ફેંકી આવ્યા . સવાલ એ ઊભો થાય છે કે વિમાંશી કેવી રીતે બાયપાસ પર રાત્રે પહોંચી ? પોલીસના કહેવા પ્રમાણે વિમાંશીને કોલ કરી કશ્યપે મળવા બોલાવી હતી અને ત્યાબાદ બંને વચ્ચે વાતચીત થઇ અને ઝઘડો થયા બાદ હત્યા કરી દેવામાં આવી .

ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠી એ વિમાંશી હત્યા કેસ સંદર્ભે એવો દાવો કર્યો છે કે , આરોપી કશ્યપ અને ધરતી બંને લગ્ન કરવાના હતા જેના કારણે આ હત્યાને ધરતી અને કશ્યપે અંજામ આપ્યો હતો . જો કે વિમાંશી કશ્યપ અને ધરતીના સંબંધમાં આડખીલીરૂપ કેવી રીતે હતી એ સવાલનો જવાબ ટાળતા એસ . પી . એ ઉમેર્યું હતું કે એ અંગે હજુ તપાસ ચાલી રહી છે .

વિમાંશીની હત્યા અંગે કોડીનાર શહેરમાં સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ભારે આક્રોશ ફેલાયેલો છે . કોડીનાર સમસ્ત સમાજના વેપારીઓ અને લોકોએ 5000 થી વધુ સંખ્યામાં એકઠા થઇ મૌન રેલી યોજી હતી અને કોડીનાર મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરી હતી .

(1:13 pm IST)