કોડીનારમાં વિમાશીની હત્યાના ઘેરા પડઘા :આરોપી સામે કડક પગલાં લેવા માંગણી ;વિશાળ રેલી નીકળી :આવેદન પાઠવ્યું
લોહાણા સમાજના વેપારીઓ સહિત સર્વેસમાજના લોકો રેલીમાં જોડાયા
કોડીનારમાં વિમાંશી હત્યાના ઘેરા પડઘા પડયા છે હત્યાના વિરોધમાં કોડીનારમાં વિશાળ રેલી નીકળી હતી. લોહાણા સમાજના વેપારીઓ સહિત સર્વેસમાજના લોકો રેલીમાં જોડાયા હતા. મૌન રેલી બાદ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હત્યારા પર કડક પગલા લેવા માંગણી કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવ પાછળ એક તરફી પ્રેમ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે હત્યારા યુવાન અને મૃતકની બહેનપણીની ધરપકડ કરી છે.
વિમાશી નામની સગીરાની લાશ મળી આવી હતી. યુવતીના શરીર પર ગળાનાં ભાગે, કાન, પેટ, વાંસામાં છરીના કુલ 37 ઘા ઝીંકાયા હતા. મૃતક યુવતી કાળી ચૌદશની રાત્રે પોતાની બહેનપણીને ઘેર ચોપડી આપવા જવાનું કહીને મોડે સુધી પરત ન ફરતાં આખો પરિવાર તેને શોધવા લાગ્યો હતો.
જોકે, સવારે તેની લાશ જ મળી આવી હતી. મોબાઇલ ડિટેઇલનાં આધારે તેમજ વિમાંશીની બહેનપણી ધરતી અને કશ્યપની અટક કરી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછમાં કશ્યપ વિમાંશીને એક તરફી પ્રેમ કરતો હોવાનું અને વિમાંશી તેને તાબે ન થતી હોવાથી છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું. જેમાં તેને વિમાંશીને ધરતી મારફત મળવા બોલાવી બાદમાં અપહરણ કરી પતાવી દીધાનું વિમાંશીનાં પિતા બિમલભાઇએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જાણવા મળ્યા મુજબ, કશ્યપ કોઇ એક્ષ્ટર્નલ કોર્સ કરે છે. અને તેના પિતા અંબુજામાં નોકરી કરે છે. જ્યારે ધરતીનો અભ્યાસ પૂર્ણ થઇ ચૂક્યો છે. અને તેના પિતા દેના બેંકના નિવૃત્ત કર્મચારી છે