સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

દાદ ન દેનાર પોલીસ કર્મચારી સામે પણ ફરિયાદ થઇ શકશેઃ સુભાષ ત્રિવેદી

ગામડાના યુવાનોને અખંડ ભારત પોલીસ મિત્ર તરીકે જોડાવવા આહવાન કરતાં કચ્છના નવનિયુકત આઇજી

 ભુજ, તા.૧૦:  સરકારે સરહદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કચ્છ બોર્ડર રેન્જ આઈજી તરીકે ગુજરાતમાં કડક પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા સુભાષ ત્રિવેદીની ખાસ નિયુકિત કરી છે. સુભાષ ત્રિવેદી અગાઉ કચ્છમાં ભૂકંપના સમય ગાળામાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમની કચ્છમાં પોસ્ટિંગના સમાચાર આવ્યા ત્યારે કચ્છી માડુઓની ચર્ચા વિશે પણ વાત કરી લઈએ. લોકોના મનમાં એ જાણવાની તાલાવેલી હતી કે, સુભાષ ત્રિવેદી સાહેબ ૧૮ વર્ષ પછી ફરી કચ્છમાં આવી રહ્યા છે, શું તેઓ એવા જ કડક હશે? આજે સુભાષ ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારે આ લખનાર (વિનોદ ગાલા) સાથે અન્ય મીડીયાના મિત્રો પણ સાથે હતા, સૌએ અલગ અલગ સવાલો સાથે તેમનો ઇન્ટરવ્યૂ કર્યો અને સૌને એ અહેસાસ થયો કે સુભાષ ત્રિવેદી હજીયે એવા જ કડક અને દેશદાઝથી છલકતાં પોલીસ અધિકારી છે. પહેલાં તેઓ ડીએસપી હતા હવે તેઓ આઈજી તરીકે છે. પૂર્વ કચ્છ, પશ્યિમ કચ્છ, બનાસકાંઠા, પાટણ એ ચાર જિલ્લાના પોલીસવડા છે. વચ્ચેના સમયગાળામાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર,ગુજરાત કોસ્ટલ પોલીસના ડીઆઈજી અને જૂનાગઢ આઈજી તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ હવે કચ્છ બોર્ડર રેન્જ આઈજી તરીકે મુકાયા છે.

આઈજી સુભાષ ત્રિવેદીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાની આજુબાજુ થતી દારૂ, જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્ત્િ। કે પછી અન્ય મુશ્કેલી સંદર્ભે દીધી જ આઈજી કચેરીને ફરિયાદ કરી શકશે. પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં જતાં સામાન્ય નાગરિકો સાથે જો કોઈ પોલીસ કર્મી ગેરવર્તન કરે, તેમની ફરિયાદ ન નોંધે તો તે પણ નાગરિકો સીધી જ આઈજી કચેરીમાં હેલ્પ લાઇન ઉપર ફરિયાદ કરી શકશે. ફરિયાદ માટે આઈજી કચેરીના હેલ્પ લાઇન નંબર ૮૨૩૮૦૭૨૧૦૦ છે. આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છ સરહદને વર્તમાન સંજોગોમાં સંવેદનશીલ ગણાવીને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કચ્છના લોકો તેમ જ માછીમારો પણ આગળ આવે અને કોઈ પણ દેશવિરોધી હીલચાલ થતી હોય તો પોલીસને જાણ કરે. શ્રી ત્રિવેદીએ ખાસ કરીને કચ્છના યુવાનોને દેશની સુરક્ષા અર્થે અખંડ ભારત પોલીસ મિત્ર' અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. આ અભિયાન તળે કચ્છના યુવાનો જોડાઈને પોલીસ માટે કામ કરી શકશે. દરેક ગામમાં ચાર પાંચ યુવાનો પોલીસ મિત્ર' તરીકે જોડાઇ શકે છે. તેમને.પોલીસ દ્વારા તાલીમ પણ અપાશે.

કચ્છમાં ડીએસપી તરીકે પોતાના કાર્યકાળ દરમ્યાન કરાયેલ કામગીરી વિશે મીડીયા સાથે સંસ્મરણો વાગોળતા સુભાષ ત્રિવેદીએ આતંકવાદી શાહનવાઝ ભટ્ટીને પકડવાની ઘટના, વિસ્ફોટક સમગ્ર તેમ જ જાલી નોટ પ્રકરણ, જાકબ બાવાને ઝડપવાનો બનાવ, વલીમામદ ચીટરને પકડવાની દ્યટના, કંડલા પોર્ટ પર ચોરી પ્રકરણ સહિતની વાતો કરી હતી. કચ્છ, કચ્છી માડુઓ અને કચ્છના આતિથ્યને યાદગાર ગણાવતાં શ્રી ત્રિવેદીએ કચ્છમાં ફરજ બજાવવાને સરહદની સુરક્ષા સમાન દેશપ્રેમના ગૌરવરૂપ ગણાવી હતી. કચ્છમાં ફરજ બજાવતી અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાથે કામ કરવાની વાત કરતા શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અંડર વોટર આતંકવાદી હુમલાના ઇનપુટને પગલે ડિજિટલ સર્વેલન્સની મદદથી પોલીસ એલર્ટ રહેશે.

(11:50 am IST)