જૂનાગઢમાં પૂ. મોરારીબાપુના સમર્થનમાં સનાતન ધર્મ સંમેલન
રાજ્યભરના સંતો-મહંતો-ધર્મ ધૂરંધરો હાજરી આપશે
જૂનાગઢ, તા. ૧૦ :. ભવનાથ ખાતે આજે બપોરે વિખ્યાત કથાકાર સંતવર્ય પૂ. શ્રી મોરારીબાપુના સમર્થનમાં સનાતન ધર્મ સંમેલન મળી રહ્યુ છે. જેમાં રાજ્યભરના સંતો-મહંતો, ધર્મ ધૂરંધરોનું હાજરી આપવા સવારથી આગમન શરૂ થઈ ગયુ છે.
જૂનાગઢમાં સરદારપરા સ્થિત સૂર્ય મંદિરના મહંત અને દેહાણની જગ્યાના મહામંડલેશ્વર જગજીવનબાપુએ આ સંમેલનમાં ગુજરાતભરની જગ્યાના સંતો-મહંતોને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.
સુપ્રસિદ્ધ કથાકાર સંત શ્રી મોરારીબાપુના સમર્થનમાં આજે બપોરે ૩ કલાકે જૂનાગઢના ભવનાથ સ્થિત પ્રેરણાધામ ખાતે મહા સંત સંમેલન આયોજીત કરાયુ છે.
જેમાં સનાતન ધર્મસ્થાનના મહામંડલેશ્વરો, દેહાણની જગ્યાના મહંતો, વૈષ્ણ સાધુ, બાવા વૈરાગી, સમાજની ચેતન સમાધિ શાખાના મહંતો, ત્રિપાંખ સમસ્ત સાધુ સમાજ વગેરે સંત સમાજને સંમેલનમાં હાજરી આપવા આમંત્રણ અપાયુ છે.
સંત સંમેલનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સંમેલનમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, ગુરૂ ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુ, શ્રી જગજીવનદાસ બાપુ વગેરે સંતો હાજરી આપશે.
ગિરનાર મંડળના અધ્યક્ષ સંત શ્રી ઈન્દ્રભારતીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે શ્રી મોરારીબાપુ કોઈકાળે માફી નહિ માંગે.
શ્રી મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના વિવાદ મુદ્દે શ્રી ઈન્દ્રભારતી બાપુએ જણાવેલ કે, શ્રી મોરારીબાપુ માફી માંગશે નહિ અને તેને માફી માંગવા પણ નહિ દઈએ. શ્રી મોરારીબાપુ સનાતન ધર્મના પ્રચારક છે ત્યારે ધર્મની ટીકા કરનારને કોઈ કાળે સાંખી નહિ લેવાય. ધર્મનું જ્ઞાન ન હોય તેની માફી ન મંગાય તેમ શ્રી ઈન્દ્રભારતી મહારાજે જણાવેલ છે.
ધર્મ ધૂરંધર અને મહામંડલેશ્વર સંત શ્રી ભારતીબાપુએ પણ શ્રી મોરારીબાપુનું સમર્થન કર્યુ છે.
ઉપરાંત મહંત શ્રી શેરનાથબાપુએ પણ વિવાદ શાંત પાડવા જણાવ્યુ છે.
દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યે પ્રેરણા ધામ ખાતે મળનાર સંત સંમેલનમાં શું નિર્ણયો લેવાય છે ? તેના પર સૌની મીટ છે.
પૂ. મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે શરૂ થયેલ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદને લઈને સંતો પણ બે ભાગમાં વેચાઈ ગયા છે. કેટલાક સંતો મોરારીબાપુના સમર્થનમાં ઉતરી આવ્યા છે તો કેટલાક સંતો મોરારીબાપુનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના સંતોએ પણ પૂ. મોરારીબાપુ આ મુદ્દે માફી નહિ માગે અને અમે તેમને માફી પણ માંગવા દઈશુ નહિં તેમ જણાવ્યુ છે.
આ મુદ્દે જૂનાગઢના જાગીર આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે, પૂ. મોરારીબાપુએ દુકાનદારી ચલાવતા લોકો સામે માફી ન માગવી જોઈએ. નિલકંઠ એ નિલકંઠ જ કહેવાય. પૂ. મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છે.
આ મુદ્દે આજે બપોરે ૩ વાગ્યે જૂનાગઢના પ્રેરણાધામ ભવનાથ ખાતે સનાતન ધર્મ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમ જૂનાગઢના સૂર્ય મંદિરના પૂ. જગજીવનબાપુએ જણાવ્યુ છે.
સનાતન ધર્મ સંમેલનમાં ગામેગામથી, તાલુકાઓમાંથી તેમજ જિલ્લામાંથી સમસ્ત સાધુ સમાજના આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહેશે.