જૂલાઇ અંત પહેલાં સોમનાથમાં સંસ્કૃત પાઠશાળા કાર્યરત થશેઃ પ્રવેશ મેળવનાર તમામનો ખર્ચ સુવિધા સોમનાથ ટ્રસ્ટ ઉઠાવી સંસ્કૃતનું સંર્વધન સંરક્ષણ કરાશે
સોમનાથ મહાદેવ મંદિર સંસ્કૃત પાઠશાળાને સરકાર માન્યતા પ્રાપ્ત થતાં નવા રંગરૂપ - ઓપ - વૈવિધ્ય અપાયું: જે.ડી.પરમાર
પ્રભાસ-પાટણ, તા.૧૦: ભારત વિશ્વ પ્રસિધ્ધ બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર છેલ્લા ૭૦ વરસથી સંસ્કૃત પાઠશાળા કાર્યરત છે.
આ પાઠશાળાને રાજય સરકારે માન્યતા આપતાં માધ્યમિક - ઉચ્ચ માધ્યમિક હાઇસ્કુલ કક્ષાની આ પાઠશાળા નવા રંગ -રૂપ -ઓપ સાથે જુલાઇ માસના અંત સુધીમાં કાર્યરત થશે. જે સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં કાર્યરત થશે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરીની પ્રેરણા- માર્ગદર્શનથી હવેથી પાઠશાળાને સરકારી માન્યતા મળતા સોમનાથ ટ્રસ્ટી જે.ડી.પરમાર કહે છે 'આ પાઠશાળા હવે સંસ્કૃત માધ્યમ બની ધો.૯ અને ૧૦ શરૂ કરવામાં આવી રહયા છે. જેમાં વૈદિક ગણિત, અંગ્રેજી, યોગ સ્વાસ્થ્ય તથા શારીરીક શિક્ષણ, કોમ્પ્યુટર અધ્યયન, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, પૌરોહિત્યમ વિષયો સંસ્કૃત માધ્યમ સ્કુલ પાઠયપુસ્તકોથી અભ્યાસ કરાવવામાં આવશે જે માધ્યમથી ભણેલા વિદ્યાર્થીઓને જે તકો મળે છે તમામ તકો ઉજ્જવળ ભવિષ્ય માટે મળશે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા સંસ્કૃત વિભાગના ચિંતન ત્રિવેદી તથા મિલન પંડયા આ અંગેની તડામાર તૈયારીઓ કરી રહયા છે અને સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભ્યાસક્રમના પુસ્તકો, યુનિફોર્મ, રહેણાંક, ભોજન ઇત્યાદી સુવિધાઓ વિદ્યાર્થીઓને વિના મુલ્યે મળશે એટલે કે તેનો તમામ ખર્ચ સોમનાથ ટ્રસ્ટ નિભાવશે. નવા રંગરૂપની આ પાઠશાળામાં શું વ્યવસ્થાઓ રહેશે તે જણાવતાં ટ્રસ્ટ કહે છે 'પાઠશાળાનું સુંદર ભવન છે, પ્રાર્થના ખંડ, ૫૦૦૦ થી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, આર.ઓ પાણી સુવિધા, રમતગમત વિશાળ મેદાન સુવિધાઓ મળશે. વિશેષતઃ અહીં મેળવાયેલું જ્ઞાન- વિદ્યા સ્વરોજગારી, મીલીટરી વિભાગમાં પૂજારી બનવાની તક, વિદેશોમાં કે ઔદ્યોગીક સંકુલોમાં પુજારી-સહાયક પુજારી બનવા તકો સંભવીતતા છે એટલું જ નહીં પ્રેકટીકલ થીયરી પણ અપનાવી યજ્ઞ-યાજ્ઞ-હોમ-કર્મકાંડ વિધિ વિધાન અભ્યાસથી ભાવિ પેડી સજ્જ થશે અને સોમનાથ ટ્રસ્ટના ડીડી મુજબ સંસ્કૃત સંરક્ષણ-સંર્વધન થશે.