ગાંધીધામઃ બે સગીર બાળાઓની છેડતીના બંને કેસોના આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની સજા
ભુજ તા.૧૦: નાની બાળાઓ સાથે અભદ્ર હરકતો કરવાના બે અલગ અલગ કિસ્સાઓમાં ગાંધીધામ કોર્ટે બે આરોપી શખ્સોને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ગત તા.૧૧-૧૨-૧૪ના કાર્ગો ઝુપડપટ્ટીની આઝાદનગર સ્કુલમાં ધોરણ બીજામાં ભણતી ૭ વર્ષની બાળકીને ૧૦ની નોટ આપીને બળજબરીથી ઢસડી જતો રાજુ પરમાર નામનો શખ્સ બાળકીની બુમાબુમને કારણે ઝડપાઇ જતા આ અંગે કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં પોકસો કલમ હેઠળ ન્યાયધીશ આર.જી.દેવધરે આરોપી રાજુરેવા પરમારને ત્રણ વર્ષની સખત કેદ તથા ૧૭ હજાર રૂપીયાનો દંડ કર્યો હતો. સરકાર પક્ષે વકીલ એસજી રાણાએ દલીલો કરી હતી.
આ જ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં તા.૨૬-૬-૧૫ના બનેલા બીજા એક બનાવમાં પ્રકાશ જેઠાલાલ મારાજ નામના શખ્સે ૧૧ વર્ષની બાળકીને બથમાં લઇને વિકૃત હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ થયા બાદ કોર્ટમાં કેસ ચાલતા અધિક સેશન્સ જજ આર.જી.દેવધરે આરોપી પ્રકાશ મારાજને ત્રણ વર્ષની સખત કેદ અને ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ડીબી જોગીએ દલીલો કરી હતી.