કોરોનાના કારણે સોમનાથ મંદિર કાલથી બંધ
ભાવિકો માત્ર ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકશેઃ ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરો પણ બંધ રાખવા નિર્ણય
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી તા.૧૧-૪-૨૦૨૧ ને રવિવારથી અન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી શ્રી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઇ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ - ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવામાં આવે છે.
શ્રધ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઇટ (www.somnath.org) પરથી ઓનલાઇન નોંધાવી શકશે. તેમજ સુવર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઇન કરાવી શકાશે.
સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટી વેબસાઇટ પરથી સોશ્યલ મીડીયાના માધ્યમથી શ્રધ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે. હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે, બીન જરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર રાખવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઇ કરતા રહેવું, સરકારશ્રીની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.