કોરોના કાળમાં ખેડૂતોના પાક ધિરાણને વ્યાજ રાહત સાથે નવા જૂની કરવાનો સમયગાળો ૩ માસ વધારવા ઉંધાડની માંગણી
વડિયા તા.૧૦ : સમગ્ર દેશમાં કોરોના મહામારીના બીજા વેવથી ભયંકર રીતે પીડાઇ રહ્યો ત્યારે ધંધાદારીઓ, મજૂરો અને ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજૂરો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે અને એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગના ખેડૂતોને ખેતી માટે લીધેલુ પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમય હોય છે ત્યારે કોરોના સંક્રમણમાં બેંકોમાં ભીડ ન થાય અને ખેડૂતો જે રાત દિવસ સખત મહેનત કરી દેશને અન્ન આપે છે તે કોરોના સંક્રમીત ન થાય તે ઉદ્દેશથી ખેડૂતોનો પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમયગાળો ત્રણ મહિના વધારવા તથા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વ્યાજ રાહતનો લાભદાયક નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોને ખૂબ રાહત મળી શકે તે માટે અમરેલી જિલ્લાના ખેડૂત નેતા અને પુર્વ કેબીનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. પુર્વ મંત્રી અને ખેડૂત નેતાની આ રજૂઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને કોરોના કાળમાં મોટી રાહત મળી શકે તેમ છે.