કોરોના સંક્રમણ વધતા આરોગ્ય સચિવ સુરેન્દ્રનગરની મુલાકાતે
રાજકોટ તાલુકાઓમાં ૬૦ થી વધુ પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે : કોવિડ હોસ્પિટલો, દવાઓ, બેડ સહિતની બાબતો અંગે ચર્ચા : લોકોને એલર્ટ કર્યા
વઢવાણ,તા. ૧૦: સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ તથા જીલ્લાની સ્થિતિનો તાગ મેળવવા રાજય સરકાર દ્વારા જીલ્લા મુજબ અલગ-અલગ આરોગ્ય સચીવને જવાબદારી સોંપી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના આરોગ્ય સચીવ રાકેશ શંકરે મુલાકાત લીધી હતી.
માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં તાલુકાઓમાં સરેરાશ દરરોજ અંદાજે ૬૦ થી વધુ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે જીલ્લાની કોવીડ હોસ્પીટલોમાં પણ બેડની સંખ્યાઓ ફુલ થઈ ચુકી છે અને આગામી દિવસોમાં જીલ્લામાં કોરોનાની સ્થિતિ ખુબ જ વણસે તેમ લાગી રહ્યું છે.
સચીવ રાકેશ શંકરે કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા જીલ્લાની મુલાકાત લીધી હતી જેમાં કોરોનાની પરિસ્થિતિ અંગે જીલ્લા કલેકટર કે.રાજેશ, પોલીસવડા મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી સહિતનાઓને સાથે બેઠક યોજી હતી અને જીલ્લામાં આવેલ કોવીડ હોસ્પીટલો તેમાં ઉપલબ્ધ સ્ટાફ, દવાઓ, સુવિધાઓ અંગ ચર્ચા વિચારણા કરી હતી અને શહેરની મુખ્ય બજારોમાં પણ ફરી પ્રજાજનોને સાવચેત કર્યા હતાં.