કચ્છની મુસ્લિમ સંસ્થા અને અગ્રણી દ્વારા રમજાન દરમ્યાન કરફ્યુમાં છૂટછાટ આપવા માંગ
(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::કોરોનાની મહામારી કારણે ભુજ અને ગાંધીધામમાં જાહેર કરાયેલ રાત્રિ કરફ્યુ દરમ્યાન રમજાન માસમાં છૂટછાટ આપવા માંગણી કરાઈ છે. અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના કાર્યકારી પ્રમુખ સુલતાનભાઈ સોઢાની આગેવાની નીચે પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટર સમક્ષ રમજાન માસ દરમ્યાન રાત્રે ૯ વાગ્યે અદા કરાતી નમાજ અને રોજા શરૂ કરતી વેળાએ સવારે ૫ વાગ્યે અદા કરાતી નમાજને ધ્યાને લઇને રાત્રે ૯ થી સવારે ૫ વાગ્યા દરમ્યાન કરફ્યુ માં છૂટછાટ આપવા માંગણી કરી છે.
તો, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી અને કચ્છના રાજકીય, સામાજિક આગેવાન આદમભાઈ ચાકીએ પણ આ જ સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર લખી રમજાન માસમાં કરફ્યુ દરમ્યાન છૂટછાટ આપવાની માંગ કરી છે. જાહેરનામા માં અપવાદરૂપ કિસ્સામાં અપાતી છૂટ અનુસાર રમજાન મહિના દરમ્યાન નમાજ અદા કરતાં મુસ્લિમ બિરાદરોને અપવાદરૂપ ગણી રાત્રે ઈશા નમાજ અને વહેલી સવારે ફજર નમાજ દરમ્યાન છૂટછાટ આપવા જણાવાયું છે. જો, લગ્ન માટે અને અન્ય પ્રસંગો માટે તેમ જ અન્ય ખાનગી એકમોને પણ જે રીતે છૂટછાટ અપાઈ છે તેમ નમાજ પઢનારા લોકોની સંખ્યા પણ મર્યાદિત હોઈ છૂટ આપવા વિનંતી કરાઇ છે.