દૂધરેજમાં બળતણના લાકડા બઠ્ઠાવી જનારાને સમજાવતાં પિતા-પુત્ર-પુત્રી પર સશસ્ત્ર હુમલો
આધેડ દિલીપભાઇ વિરમગામી, પુત્ર રાકેશ અને પુત્રી પૂજાને ધારીયા-પાઇપના ઘા ઝીંકાતા રાજકોટ ખસેડાયાઃ કસ્તુર, નવઘણ, ગોપાલ અને જ્યોતિ સામે ગુનો
રાજકોટ તા. ૧૦: વઢવાણના દૂધરેજમાં દેવીપૂજક આધેડ અને તેના પુત્ર-પુત્રી પર એક મહિલા સહિત ચાર જણાએ પાઇપ ધરીયાથી હુમલો કરી ઇજાઓ કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બળતણના લાકડા લેવા બાબતે આ હુમલો થયો હતો.
જાણવા મળ્યા મુજબ દૂધરેજના વહાણવટીનગરમાં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં દિલીપભાઇ જેરામભાઇ વિરમગામી (ઉ.૪૫) નામના દેવીપૂજક આધેડ પર તેના પડોશમાં રહેતાં કસ્તુરભાઇ કરમશીભાઇ દેવીપૂજક, નવઘણ કસ્તુર, ગોપાલ અને જ્યોતિબેને મળી લોખંડના પાઇપ તથા ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં તેમને બચાવવા માટે પુત્રી પૂજા (ઉ.૧૨) અને પુત્ર રાકેશ (ઉ.૧૧) વચ્ચે પડતાં આ બંને ઉપર પણ હુમલો કરવામાં આવતાં ત્રણેયને ગાંધી હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
દિલીપભાઇના કહેવા મુજબ અમારા બળતણના લાકડા પડશી કસ્તુરભાઇ લઇ ગયો હોઇ તેને આ બાબતે કહેવા જતાં અને હવે પછી અમારા લાકડા ન લઇ જતાં તેમ સમજાવવા જતાં તેણે ગાળાગાળી કરી હતી અને બીજા સાથે મળી સશસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં મને બચાવવા માટે દિકરો-દિકરી દોડી આવતાં તેને પણ ઘાયલ કરવામાં આવ્યા હતાં. સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તરકીયામાં નીરૂ ભુલથી ઝેરીદવા વાળુ પાણી પી ગઇ
વાંકાનેરના તરકીયા ગામે રહેતી નીરૂ રામજીભાઇ ખીમાણીયા (ઉ.૧૮) વાડીએ ભુલથી ઝેરી દવાવાળા વાસણથી પાણી પી જતાં સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.