મંગળવારે જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પંચ વાર્ષિક પાટોત્સવનું આયોજન
પૂ. જીજ્ઞેશદાદા, પૂ. રાધારમણ સ્વામી, પૂ. જગતપ્રસાદદાસજી સહિતનાની ઉપસ્થિતીમાં ધર્મોત્સવ
(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર ,તા.૧૦ : જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આર્શીવાદ થી અ.નિ.સદગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજીના દિવ્ય આશીર્વાદ થી મહામુકતરાજ શ્રી દેવુભગતજી (જય સિયારામ) રાણાકંડોરણા વાળા ની સ્મૂતિમાં તથા શ્રી ઘનશ્યામ મહારાજ ,શ્રી લક્ષ્મીનારાયણદેવ ,રાધારમણદેવનો વાર્ષિક પાટોત્સવ , શાકોત્સવનું વસંત પંચમીના પવિત્ર દિવસે , તા.૧૬ને મંગળવારના રોજ સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂ.જીજ્ઞેશદાદા(રાધે-રાધે) તથા શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી અને કોઠારી સ્વામીશ્રી જગતપ્રસાદ દાસજીની ઉપસ્થિતિમાં પંચ વાર્ષિક પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંતો કથામૃતનો અલભ્ય લાભ આપશે. ઉપરોકત પ્રસંગે તા.૧૫ને સોમવારે સાંજે ૫.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ મહિલા મંડળની બહેનો દ્વારા જળયાત્રા તથા તા.૧૬-૨-૨૦૨૧ સવારે ૬:૩૦ કલાકે મંગળા આરતી , સવારે ૭:૩૦ થી ૮:૩૦ સુધી ઠાકોરજીનું પૂજન-અભિષેક , તથા ૯ થી ૧૧ સુધી સત્સંગ સભા ત્યારબાદ ૧૧ કલાકે અન્નકૂટ દર્શન અને ભોજન -સાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધામેધામ થી સંતો-મહંતો પધારશે અને આ પ્રસંગે કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરીને આવવાનું રહેશે તેમ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.