સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

કચ્છ-મુંદ્રા પોલીસના અત્યાચારના વિરોધમાં જામજોધપુરમાં આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ

જામજોધપુર, તા. ૧૦ :  કચ્છ જિલ્લાની મુંદ્રા પોલીસ દ્વારા સમાધોધાના ત્રણ ગઢવી યુવકોને કોઇ પણ ગુના વિના ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને તેમના પર સળંગ સાત દિવસ અમાનવીય સીતમ ગુજારવામાં આવ્યો હતો. સાત-સાત દિવસ તેમને ખાવા પીવાનું પણ આપવામાં ન આવ્યો હતો અને ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા આ યુવકોને અવિરત ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્રણેય યુવકો પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા કોઇના ઇશારે ચારણ યુવકોને આ અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો અને બે યુવકોના મોત થયા છે.

આ અનુસંધાને જામજોધપુર ખાતે આજરોજ અહીંના નાયબ મામલતદારને મૃતકોના ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જામજોધપુર ચારણ સમાજ અને જામજોધપુર સોનલ યુવક મંડળ દ્વારા આ આવેદનપત્ર આપતી વખતે આ વિસ્તારના ક્ષત્રિય સમાજ, રબારી સમાજ પટેલ સમાજ, આહીર સમાજ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

(11:36 am IST)