સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

ભવનાથમાં શિવરાત્રી મેળાનો બીજો દિવસ

આજે રાત્રે અને આવતીકાલે ભીડની શકયતાઃ મંગળવારે મધરાત્રે મેળો પૂર્ણ

 જૂનાગઢ તા. ૧૦ :.. ભવનાથ ખાતે ગઇકાલથી શરૂ થયેલ મહા શિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે. સવારે પણ મેળામાં ભાવિકોની પાંખી હાજરી વચ્ચે પણ વિવિધ ચહલપહલ રહી હતી.ભવનાથ દાદાનાં સાનિધ્યે યોજાયેલ પાંચ દિવસનાં શિવરાત્રી મેળામાં ૧૦૦ થી વધુ ધુણા ચેતન બન્યા છે. પ્રથમ દિવસની જ દિગ્મબર સહિત સંતો શિવ ભકિતમાં લીન બન્યા છે.

જીવ અને શિવનાં મિલન સમાન શિવરાત્રી મેળામાં ગઇકાલે પ્રથમ રાત્રીએ મહા મંડલેરશ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, મહંત શ્રી ઇન્દ્રભારતીજીના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, મહંત શ્રી શેરનાથબાપુનાં  ગૌરક્ષનાથ આશ્રમ સહિતની ધાર્મિક જગ્યા ઓ ઉપરાંત ભજન સમ્રાટ શ્રી લક્ષ્મણ બારોટનાં ઉતારો વગેરે ખાતે મોડી રાત્રી સુધી સંતવાણી જામી હતી.

આજે રાત્રે સંતવાણી સાંભળવા માટે આશ્રમો - ધાર્મિક સ્થળોએ ભીડ થવાની શકયતા છે. અને આવતીકાલે રવિવાર રજાનો દિવસ હોય સવારથી જ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે ઉમટી પડશે.

શિવરાત્રીનાં મેળામાં ર૦૦૮ માં તે સમયનાં મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવ્યા હતાં. ચાલુ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા હોવાનું મહા મંડલેશ્વર શ્રી ભારતીબાપુએ જણાવ્યું હતું.સોમવારથી મેળો ચરમસીમાએ પહોંચશે. શિવરાત્રીનાં રોજ રાત્રે દિગમ્બરમ સાધુઓ સહિત સંતોની રવેડી, મૃગી કુંડમાં શાહી સ્નાન અને ભવનાથ દાદાની મહા આરતીબાદ મેળો જ સંપન્ન થશે.

મેળામાં ભાગ લેવા આવતા ભાવિકોની પીવાનું પાણી, શૌચાલય તેમજ આરોગ્ય સહિતની પ્રાથમિક જરૂરીયાત સુવિધાની તંત્ર દ્વારા સઘન ગોઠવણ કરવામાં આવી છે. જયારે સંતો, વિવિધ સમાજો, જ્ઞાતિઓ, સેવાભાવી સંસ્થાઓ વગેરે દ્વારા ભાવિકો માટે ચા-પાણી, ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય શિવ ભકતોને ઘર જેવુ વાતાવરણ પ્રાપ્ત થયું છે.મેળામાં ભાવિકોની સુરક્ષા, કાયદો- વ્યવસ્થા અને ટ્રાફીક નિયમન વગેરે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.

(11:47 am IST)