મોરબીમાં ઉનાળામાં પાણીની કટોકટી નિવારવા આગોતરા આયોજનની માંગણી
મોરબી તા. ૧૦ : મોરબી-માળીયાના અનેક ગામોમાં હાલ પીવાનું પાણી બે કે ત્રણ દિવસે મળે છે જે બાબત ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના પ્રવાસ દરમિયાન સામે આવી હતી જો શિયાળામાં પીવાના પાણીની તંગી જોવા મળતી હોય તો ઉનાળામાં સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ હોવાથી ધારાસભ્ય દ્વારા આગોતરા આયોજનની માંગ કરવામાં આવી છે.
મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પાણી પુરવઠા વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નર્મદાનું પાણી જે ટીંબડી ગામ પાસેથી પીપળીયા ચાર રસ્તા અને અન્યત્ર પહોંચાડાય છે તેમાં લો પ્રેશરથી પાણી મળવું, વારંવાર પાણીની લાઈન લીકેજ થવી અને મરમ્મતને પગલે વેડફાતું પાણી સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી હોય વળી તેવી જ સ્થિતિ માળિયાના ખીરઈ ગામ પાસેતી વિતરણ કરાતા પીવાના પાણીની તકલીફ જોવા મળે છે. આ પંથકમાં પાણીની ફરિયાદો વધી રહી છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા પીપળીયા ચાર રસ્તા હેડવર્કસની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી જેમાં જાત માહિતી મેળવતા પીપલીયિયા હેડવર્કસથી ૨૭ ગામોને પીવાનું પાણી વિતરણ થાય છે જે પૈકી મેઘપર ગામે છેલ્લા ૧૨ દિવસથી પીવાનું પાણી મળી શકયું નથી તેવી જ સ્થિતિ સરવડ સહિતના ગામોમાં જોવા મળે છે જેથી શિયાળામાં પીવાના પાણીની તંગીને જોતા ઉનાળામાં સ્થિતિ વિકરાળ બને તે પૂર્વે જ પાણી પુરવઠા તંત્ર ગંભીરતા દાખવીને આગોતરું આયોજન કરે તેવી માંગ કરવામાં આવી છે.
પોસ્ટ ઓફિસ ખંડેર હાલતમાં
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં માળિયા વનાળીયા, પરશુરામ પોટરી, સો-ઓરડી, રાજ સોસાયટી, અનંત સોસાયટી, વૃષભ સોસાયટી , નિત્યાનંદ સોસાયટી, સુર્યકીર્તિ સોસાયટી,સીતા સોસાયટી, હાઉસિંગ બોર્ડ, રામકૃષ્ણનગર, ગોપાલ સોસાયટી, રીલીફ નગર, રોટરી નગર, અરૂણોદય નગર, ઙ્ગઉમા ટાઉનશીપ, આનંદ નગર, રવિ સોસાયટી, મયુર સોસાયટી, મહાવીર સોસાયટી,લાલબાગ અને વોરબાગ સોસાયટીઓ આવેલ છે.
આખા વિસ્તારમાં રજવાડા વખતની પોસ્ટ ઓફીસ આવેલ છે જે હાલ ખંડેર હાલતમાં જોવા મળે છે અને તેમાં કોઈ જરૂરીયાતની સુવિધા મળતી નથી જેથી તમામ ગ્રાહકોને મેઈન પોસ્ટ ઓફિસે ધક્કા ખાવા પડે છે તો આ પોસ્ટ ઓફિસને તાત્કાલિક જરૂરી સુવિધાઓ આપવામાં આવે જેથી પોસ્ટ ઓફિસને મોટી આવક પણ થઇ શકે છે.તો આ પોસ્ટ ઓફિસને સત્વરે જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગણી કરી છે.(૨૧.૪)