મોડી રાત્રે વિસાવદર પાસે કેટરર્સની રીક્ષાપલ્ટી મારીને પુલ નીચે ખાબકતા ડ્રાઇવરનું મોત
ધારીથી જુનાગઢ આવતા નડેલા અકસ્માતમાં ૯ બહેનોને ઇજાઃ મૃતક અને ઇજાગ્રસ્તો જુનાગઢનાં પ્લાસવા ગામના
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: મોડી રાત્રે વિસાવદર પાસે કેટરર્સની રીક્ષા પલ્ટી મારીને પુલ નીચે ખાબકતા ડ્રાઇવરનું મોત નીપજયું હતું અને ૯ બહેનોને ઇજા થતા તમામને સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ.
આ અકસ્માતની વિગતો એવી છે કે, જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામનાં અશોકભાઇ ઉકાભાઇ નાવલીયા (ઉ.વ.૪૪) કેટરર્સની ૯ બહેનોને પોતાની પ્યાગો રીક્ષામાં બેસાડીને ધારીથી જુનાગઢ તરફ રાત્રીનાં એક વાગ્યાની આસપાસ આવતા હતા.
ત્યારે રાત્રીનાં વિસાવદર તાલુકાના લાલપુર ગામ પાસે મેલડી માતાજીનાં મંદિર પાસેનાં વળાંકમાં અશોકભાઇએ રીક્ષાના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારીને પુલ નીચે ખાબકી હતી.
જેમાં અશોકભાઇનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ૧૦૮નો કાફલો દોડી ગયો હતો.
અકસ્માતમાં મૃતક અશોકભાઇની બે દિકરી તૃપ્તી તથા એકતા તેમજ તેના નાના ભાઇની પુત્રી મૌસમી સહિત રસોઇ કામ સાથે સંકળાયેલ ૯ બહેનોને નાની મોટી ઇજા થતા તમામને વિસાવદર ખાતે પ્રાથમિક સારવાર આપી જુનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ.
પોલીસે અકસ્માત અંગે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે. (