જામનગરમાં પ્રેમસંબંધમાં નિષ્ફ્ળતા મળતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી
પ્રેમી યુવકની માતાએ ઘરે આવીને ખરાબ વર્તન કરતા માઠુ લાગ્યું : યુવક,અને તેની માતા સામે પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર:આખરે મામલો થાળે પડ્યો
જામનગર :શહેરમાં પટેલ કોલોની નજીક શાંતિનગર શેરી નં.૭માં રહેતી હર્ષિદાબા કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ. ૨૧) નામની યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પ્રેમીની માતાએ ઘરે આવી ખરાબ વર્તન કરતા લાગી આવતા યુવતીએ પ્રેમસંબંધમાં નિષ્ફળતા માની આવું પગલુ ભર્યાનું જાણવા મળ્યું હતું.
મૃતક યુવતીને અગાઉ પાડોશમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો સમયાંતરે બંને પરીવારો પણ બંનેના લગ્ન માટે રાજી પણ થયા હોવાનુ જાણવા મળ્યું હતું. જો કે આ દરમિયાન એક દિવસ પૂર્વે પ્રેમી યુવકની માતાએ ઘરે આવીને ખરાબ વર્તન કરતા માઠુ લાગી આવતા યુવતીએ આવેશમાં આવી જઇ આ પગલુ ભરી લીધુ હોવાનુ જાહેર થયું છે
આ બનાવના પગલે પરીવારજનોએ યુવક, તેની માતા બંને સામે પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા દોડધામ મચી હતી. પોલીસે તપાસ બાદ પગલા લેવાની ખાતરી આપતા મોડેથી મામલો થાળે પડ્યો હતો.