જામકંડોરણા તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સહાય આપવા આવેદન પાઠવ્યુ
જામકંડોરણા તા. ૯ :.. જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ બી. વાળાની આગેવાની નીચે જામકંડોરણા તાલુકામાં લીલો દુકાળ જાહેર કરી તાત્કાલીક સહાય ચુકવવાની માંગ સાથે મહામહીમ રાજયપાલશ્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.
તેઓએ જણાવેલ છે કે જગતના તાતને વાવેતર કરેલ મગફળી, કપાસ, એરંડા, કઠોળ તથા પશુઓના ઘાસચારાને ખુબ જ નુકશાન થયેલ છે મગફળીના પાકમાં ખેડૂતોએ એક વિઘાએ ૭ થી ૮ હજારનું બિયારણ, ખેડ, ખાતર, મજૂરીનો ખર્ચ કરેલ છે વાવાઝોડાને કારણે આવેલ વરસાદને લીધે મગફળીના ઉભા પાકને નુકશાન થયેલ છે તેમજ મગફળીના પાથરા પલળી ગયેલ છે તેની પશુધન માટેની નિરણ પણ પલળી ગયેલ છે કપાસ, એરંડા, તુવેરના પાકમાં ખેડૂતોએ એક વિઘાએ ૮ થી ૧૦ હજારનો ખાતર, બિયારણ, ખેડ, મજૂરીનો ખર્ચ કરેલ છે. ખેડૂતોને હાથમાં આવેલ કોળીયો કુદરતના પ્રકોપથી છીનવાઇ ગયેલ છે ખેડૂતોએ કરેલ ખર્ચ પાણીમાં ગયેલ છે ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી હોવા છતાં વાવેતરનું બિયારણ લેવા માટે ખેડૂત પાસે પૈસા નથી. તેના અભાવે વાવેતર કરવામાં મુશ્કેલી પડે તેમ છે. ખેડૂતોએ પાક વિમો લીધો છે પરંતુ વિમા કંપનીએ નુકશાનીની વળતર માટેની અરજી માટે ટૂંકો સમય આપેલ છે આ ટૂંકા સમયમાં ખેડૂતો નુકશાનીની અરજી વિમા કંપનીને આપી શકેલ નથી આમ વિમા કંપનીએ ટૂંકો સમય આપીને કાયદાથી પોતાની જવાબદારીથી છટકી ગયેલ છે.
જેથી મગફળી, મગ, અડદના પાક પલળી ગયેલ હોવાથી ગુણવતા નબળી પડી ગયેલ હોવાથી તેને વહેંચવામાં તકલીફ પડતી હોવાથી ટેકાના ભાવે ખરીદીમાં થોડી ઘણી છૂટછાટ આપીને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા તેમજ જામકંડોરણા તાલુકામાં લીલો દુકાળ જાહેર કરી નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી ખરીફ પાકનો વિમો ચુકવવા તેમજ રવિપાકના વાવેતર માટે એકરે રૂ. રપ૦૦૦ પ્રોત્સાહન રૂપે ચુકવવાની માંગ કરેલ છે.આ આવેદન પત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, જીલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઇ બાલધા, સેજુલભાઇ ભુત સહિતના આગેવાનો તેમજ સમિતિના સભ્યો હોદેદારો અને કાર્યકરોએ હાજરી આપી હતી.