સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th November 2019

પોરબંદરમાં માછીમારોને રાહત પેકેજ તથા ખેડૂતોને નુકસાનીમાં વળતર સહિત પ્રશ્ને રોષ : કોંગ્રેસ દ્વારા સોમવારે ઘેરાવ અને ધરણા

પોરબંદર, તા. ૯ : કરજમાં ડુબેલા માછીમારોને સરકાર દ્વારા રાહત પેકેજ તથા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા પ્રશ્ને ધ્યાન ન અપાતા રોષ વ્યાપી ગયેલ છે. સોમવારે કોંગ્રેસ દ્વારા સુદામા ચોકમાં સવારે ધરણા બાદ કચેરીએ ધરણા કરી હલ્લાબોલનો કાર્યક્રમ રાખેલ છે.

ભૂગર્ભ ગટરના ઉભરાવ રહેલા પાણીના કારણે પોરબંદર શહેરમાં ડંકી અને બોરના પાણી બગડી ગયા છે. પીવાના પાણીની પાઇપ લાઇનની થયેલ નબળી કામગીરીને કારણે અને ભૂગર્ભ ગટરના પાણીની પાઇપ લાઇનમાં ભગર્ભ ગટરનું પાણી મીક્ષ થઇ રહ્યું છે. તેથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સપ્લાય થઇ રહેલુ પાણી ફીણા વાળુ અને ગંદુ પાણી આવી રહ્યું છે. ઉભરાય રહેલી ભૂગર્ભ ગટરને કારણે આખા શહેરમાં ડેન્ગ્યુ તાવ લઇ આવતો મચ્છરો મૂળ મોટા પ્રમાણમાં થવા છે.

સરકારી હોસ્પિટલોમાં ડોકટરો નથી દરરોજના ૧૦૦૦ દર્દીઓના નિદાન માટે ભાવસિંહજી હોસ્પિટલમાં માજી ૧ જ ડોકટર છે.

ગુજરાતમાં શહેરી વિસ્તાર ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો પસાર કરીને સરકારે વાહન ચાલઇકો અને સામાન્ય પ્રજાને ખૂબજ મુશ્કેલીમાં મૂકી દીધી છે. મોંઘવારીમાં-પ્યાજ(ડુંગળી)થી પેટ્રોલ સુધી તમામ જીવન જરૂરીયાત વસ્તુઓના ભાવમાં ભાજપના રાજમાં કમરતોડ ભાવ વધારો થયો છે. મંદી આખા દેશમાં ભયંકર મંદીનું મોજુ ફરી વળ્યું છે. ગ્રેજયુએટ થયેલ, એન્જીનીયર થયેલા લાખો યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાયા છે.

માછીમારો કરજમાં ડુબી રહ્યા છે. વાવાઝોડાની ઉદભવેલી પરિસ્થિતિને કારણે બોટોને નુકશાન થયું છે અને દિવસો સુધી માછીમારોને માછીમારીના કામો વંચિત રહેવું પડયું છે. આવનારા દિવસોમાં માછીમારો રાહત પેકેજ નહીં આપવામાં આવે તો માછીમારો કરજમાં ડૂબેલા માછીમારો આપઘાત કરવા મજબૂર બનશે. આ વર્ષે ૧૪પ% વરસાદ થયો છે. ખેડૂતોએ પાક વિમાનું પ્રિમીયમ ભર્યું છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની ગાઇડ લાઇન મુજબ જયારે અતિવૃષ્ટિ થાય એટલે કે ૧૪પ% જેટલો સામાન્ય કરતા વધારે વરસાદ થાય ત્યારે ખેડૂતો પાક વિમા માટે હકદાર છે. તમામ પ્રશ્નોને લઇને પોરબંદર શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧૧ સોમવારના રોજ સુદામા ચોક, પોરબંદર ખાતે સવારે ૧૦-૦૦ કલાકે ધરણા, ઘેરાવ અને હલ્લાબોલનો કાર્યક્રમ રાખેલ છે. હલ્લાબોલનો કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર અપીલ એક યાદીમાં કરવામાં આવે છે.

(11:50 am IST)